ચીફ ઓફિસરને ગત તા.6 ડિસેમ્બરનારોજ સર્કલોના પુતળાને પાણીથી સાફ રાખવા રજૂઆત કરાઈ હતી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.19: પાલિકા કે સરકારી તંત્રની કામગીરી જગજાહેર છે. જ્યારે નાગરિકો રજૂઆત કરે કે કાન પકડે એટલે કામગીરી શરૂ થાય કે સુધારો આવતો હોય છે. કંઈક તેવી બાબત ધરમપુર નગરપાલિકા વિસ્તારમાં ઘટી છે.
ધરમપુર નગરપાલિકા વિસ્તારમાં મહાન પુરુષોના સર્કલ અને પુતળા બનાવાયેલા છે જે સરાહનીય છે. પરંતુ આવા જાહેર સ્મારકોની સાર સંભાળ પાલિકા દ્વારા થતી નહી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. પાલિકા વિસ્તારના સ્મારકો ઉપર કચરો, ધુળના ઢગલા જોવા મળતા હતા તેથી તા.પં. અપક્ષ સભ્ય શૈલેષ પટેલ અને જાગૃત નાગરિકોએ ગત તા.06 ડિસેમ્બરના રોજ પાલિકા વિસ્તારના સ્મારકોની અવદશા અંગે રજૂઆત નગરપાલિકાના ચીફ ઓફિસરને કરાઈ હતી. આ રજૂઆત લેખે લાગી હતી. આજે ધરમપુર પાલિકા વિસ્તારના મહાન પુરુષોના સ્મારકોની પાલિકા દ્વારા પાણી મારી સાફ સફાઈ કરવામાં આવી હતી. જિલ્લાની અન્ય પાલિકાઓ માટે આ અનુકરણીય બાબત જરૂર લેખાવી શકાય.