-
સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પોતાના એક્સ(ટ્વીટર) પ્લેટફોર્મ ઉપરથી દીવ ખાતે વિશ્વ સ્તરના એન્જિનિયરીંગ કોલેજ કેમ્પસની સ્થાપના કરવા બદલ પ્રધાનમંત્રીનરેન્દ્રભાઈ મોદીની વ્યક્ત કરેલી કૃતજ્ઞતા
-
દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સીધા આશીર્વાદ અને કૃપાદૃષ્ટિ તથા પ્રશાસક પ્રફુલભાઈ પટેલના અથાક પ્રયાસથી અનેક ઉચ્ચ વ્યવસાયી કોલેજો તથા અભ્યાસક્રમો શરૂ થતાં સમાજના છેવાડેના લોકોની ઉઘડેલી શિક્ષણની ભૂખ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.06 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના ટચૂકડા ટાપુ ગણાતા દીવ ખાતે કાર્યરત ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (આઈઆઈઆઈટી)ના કેમ્પસની પ્રથમ બેચની વિદ્યાર્થીની સાક્ષી ડાંગીને ગુગલ ખાતે રૂા.50 લાખનું પેકેજ મળ્યું હોવાની જાણકારી સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ટ્વીટ કરીને આપી છે.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પોતાના એક્સ(ટ્વીટર) પ્લેટફોર્મ ઉપર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિશ્વ સ્તરના એન્જિનિયરીંગ કોલેજ કેમ્પસની સ્થાપના કરવા બદલ કૃતજ્ઞતા પણ વ્યક્ત કરી છે. તેમણે શિક્ષણના ક્ષેત્રમાં રોકાણ કરી ભારતના ભવિષ્યને સમૃદ્ધ બનાવવા બદલ પણ પ્રધાનમંત્રીશ્રીનો આભાર પ્રગટ કર્યો છે.
અત્રે નોંધનીય છે કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સીધા આશીર્વાદ અને કૃપાદૃષ્ટિ તથા સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના અથાક પરિશ્રમના પરિણામે દાદરા નગરહવેલી અને દમણ-દીવ જેવા ટચૂકડા પ્રદેશમાં એમ.બી.બી.એસ., નેશનલ લો કોલેજ, નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ ફેશન ટેક્નોલોજી (એનઆઈએફટી), નર્સિંગ કોલેજ, એન્જિનિયરીંગ કોલેજ જેવા અનેક ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમો અને કોલેજો શરૂ થઈ છે. જેમાં પ્રદેશના વંચિત, પીડિત, શોષિત, દલિત, આદિવાસી વિદ્યાર્થીઓ સહિત તમામ માટે શિક્ષણના દ્વાર ખુલ્યા છે.
સંઘપ્રદેશમાં નમો મેડિકલ કોલેજના આરંભ થવાથી દાદરા નગર હવેલીના 30 કરતા વધુ આદિવાસી વિદ્યાર્થીઓ દર વર્ષે એમ.બી.બી.એસ.માં પ્રવેશ લઈ રહ્યા છે. એમ.બી.બી.એસ. કોલેજના આરંભનું આ પાંચમું વર્ષ હોવાથી કુલ 150 કરતા વધુ આદિવાસી, દલિત વિદ્યાર્થીઓ એમ.બી.બી.એસ.નો અભ્યાસ કરી રહ્યા છે. જે પૈકીના મોટાભાગના પોતાના પરિવાર અને સમાજના પ્રથમ ડોક્ટર બનવા જઈ રહ્યા છે. તેજ રીતે પ્રદેશમાં શરૂ કરાયેલ પેરા મેડિકલ તથા નર્સિંગ અભ્યાસક્રમોમાં પણ અત્યાર સુધી અભ્યાસ કરી વિવિધ હોસ્પિટલોમાં મોભાદાર ફરજ બજાવી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર ભારત સહિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં શરૂ કરેલી શૈક્ષણિક ક્રાંતિના કારણે પ્રદેશમાં પહેલી વખત છેવાડેના લોકોની શિક્ષણની ભૂખ ઉઘડી છે જે માટે સમગ્ર પ્રદેશ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને પ્રદેશના પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલનો કાયમી ઋણી રહેશે.