(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21 : દાદરા નગર હવેલીના જિલ્લા પ્રશાસન પ્રદેશના તમામ નાગરિકોના આરોગ્ય અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબધ્ધ છે, તેથી જરૂરી છે કે જિલ્લામાં ડેંગ્યુ જેવા પાણીજન્ય બિમારીઓના ફેલાવાને રોકવા માટે નાગરિકોએ જરૂરી સાવચેતીઓ રાખવી આવશ્યક છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સક્ષમ અધિકારીના ધ્યાને આવ્યું છે કે, ખરાબ હવામાનના કારણે જુદી જુદી જગ્યાએ ખાસ કરીને દાદરા નગર હવેલી યોજના અને વિકાસ અધિકારી(ડીએનએચપીડીએ) અને સેલવાસ નગરપાલિકાના અધિકાર ક્ષેત્રમાં નિર્માણાધિન સ્થળો ઉપર પાણી ભરાવાનું સંકટ ઉભું થઈ શકે છે.
સંભવતઃ ખતરાને ધ્યાને રાખતા દાદરા નગર હવેલી યોજના અને વિકાસ અધિકારીના રેકોર્ડમાં નોંધાયેલ તમામ વ્યક્તિ (બિલ્ડરો, ડેવલપર્સ, એન્જિનિયરો, વાસ્તુકારો, નિરીક્ષકો વગેરે સહિત)ઓને જિલ્લામાં નિર્માણાધીન સ્થળોએ પાણી ભરાવાના સંકટને ઓછું કરવા માટેના જરૂરી ઉપાયો લાગૂ કરવાના નિર્દેશો આપવામાં આવ્યા છે. જેમાં પાણીના થતાં સંગ્રહને રોકવું, નિયમિત તેનું નિરીક્ષણ કરવું અને પાણી જમા થવાની સંભાવનાવાળા વિસ્તારોની સાફ-સફાઈ કરવા જણાવાયું છે. કારણ કે, પાણી સંગ્રહ થવાના સ્થળોએ મચ્છરોના સંભવિત પ્રજનન સ્થળો બની શકે છે. તેથી દાદરા નગર હવેલી જિલ્લા પ્રશાસન દ્વારા આપવામાં આવેલા નિર્દેશનું પાલન કરવા નિષ્ફળ જનારાઓ વિરૂદ્ધ સક્ષમ અધિકારી દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવશે, જેમાં સામાન્ય વિકાસ નિયમ-2023 અંતર્ગત નિયત દંડ સામેલ છે. એમ ટાઉન પ્લાનિંગ ઓફિસર-દાનહની એક અખબારી યાદીમાં જણાવાયું છે.