ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોને જીવામૃત અને
ઘનજીવામૃત બનાવવા તાલીમ અપાશે
તાલીમ બાદ ખેડૂતોને રાહતદરે જીવામૃત-ઘનજીવામૃતનું વિતરણ કરવામાં આવશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.19: વલસાડ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો પ્રચાર પસાર થાય તે માટે આત્મા પ્રોજેક્ટ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીના અધ્યક્ષતામાં ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોની બેઠક જિલ્લા પંચાયતના સભાખંડમાં મળી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ગુરવાનીએ જણાવ્યું કે, જિલ્લાના જે ખેડૂતો પાસે દેશી ગાય નથી તેવા ખેડૂતોને ગૌશાળા અને પાંજરાપોળ દ્વારા જીવામૃત અને ઘન જીવામૃત બનાવી ખેડૂતોને રાહત દરે વિતરણ કરવામાં આવશે. ખેડૂતોને સમયસર જીવામૃત અને ઘનજીવામૃત મળી રહે તે માટે ગૌશાળાના સંચાલકોને જીવામૃત અને ઘન જીવામૃત કેવી રીતે બનાવવું તે અંગે તાલીમ આપવામાં આવશે. આગામી સમયમાં તમામ ગૌ શાળાના સંચાલકોને પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવશે. ત્યારબાદ એમના દ્વારા જીવામૃત અને ઘન જીવામૃત બનાવી ખેડૂતોને વિતરણ કરવામાં આવશે. આ નવતર પહેલને ગૌશાળાના સંચાલકો તરફથી સારો પ્રતિસાદ આપવામાં આવ્યો હતો. બેઠકમાં જિલ્લા ખેતવાડી અધિકારી અરૂણ ગરાસિયા, નાયબ પશુપાલન નિયામક જે. વી. વસાવા, આત્મા પ્રોજેક્ટના ડાયરેકટર ડી.એન.પટેલ, ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેકટર વિમલ પટેલ તેમજ સ્ટાફ અને જિલ્લાની ૧૫ ગૌ શાળા અને પાંજરાપોળના સંચાલકો હાજર રહ્યાં હતાં.