છેવાડાના માનવીને લાભો મળી રહે તે માટે પ્રધાનમંત્રીશ્રીના જન્મદિવસથી તા.0રજી ઓકટોબર સુધી સેવા પખવાડિયા તરીકે ઉજવણી કરાઈ રહી છેઃ મંત્રી કનુભાઈ દેસાઈ
આજથી નાના કારીગરો જેવા કે કડિયા, સુથાર જેવા માટે વિશ્વકર્મા યોજના કાર્યરત કરાઈઃ મંત્રી કનુભાઈ દેસાઈ
(વર્તમા પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.17: દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આજે 73 માં જન્મદિવસ તા.17 મી સપ્ટેમ્બરથી સમાજના નાનામાં નાના માણસો સુધી સરકારશ્રીની યોજનાઓના લાભો મળી રહે તે માટે તા.02જી ઓકટોબર ગાંધીજયંતિ સુધીના દિવસો સેવા પખવાડિયા તરીકે ઉજવણી કરાઈ રહી છે. આ સેવા પખવાડિયા દરમિયાન આજે વાપી નગરપાલિકા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના અને પી.એમ.જે.એ.વાય. અંતર્ગત આયુષ્માન કાર્ડના લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસની ચાવી અને આયુષ્યમાન કાર્ડનું રાજ્યના નાણાં, ઉર્જા અને પ્રેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સ્વચ્છતા હી સેવાના ભાગરૂપે સ્વચછતાના રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં જ ભારતના નેતૃત્તવમાં જી-20 દેશોની સમિટ સફળતાપૂર્વ પૂર્ણ કરી છે. આખા વિશ્વના અર્થતંત્રમાં જી-20 દેશના 80 ટકા અર્થતંત્રનો સમાવેશ થાય છે તેનું નેતૃત્વ કરી વિશ્વમાં દેશને ગૌરવવંતુ સ્થાન અપાવ્યું છે.
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર ગુજરાતમાં તેમનો સેવાયજ્ઞ આદર્યો હતો તેના પરિણામે જ દેશના વડાપ્રધાન બન્યા અને વડાપ્રધાન બન્યા પછી તેમણે ગુજરાતને રોલ મોડેલ તરીકે દેશનો પણ વિકાસ કરી રહ્યા છે. સ્વચ્છ ભારત અભિયાન, પ્રધાનમંત્રી આવાસ યોજના, હર ઘર નલ સે જલ જેવી યોજનાઓથી છેવાડાના માનવીને લાભ મળી રહ્યા છે. તેવી જ રીતે આજથી દેશના નાના કારીગરો જેવા કે કડિયા, સુથાર, નાનાલારીવાળા માટે વગેરે માટે વિશ્વકર્મા યોજનાની શરૂઆત કરી છે. આના લીધે સમગ્ર દેશમાં પરિવર્તનનું મોજું આવશે જેનાથી દરેક દરેક ઘરમાં પ્રકાશ ફેલાશે, આવકના સાધનો વધશે.
આ પ્રસંગે મંત્રીશ્રીએ વાપી નગરપાલિકાને આ કાર્યક્રમ કરવા બદલ અભિનંદન આપ્યા હતા. મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના પાંચ લાભાર્થીઓને ગૃહ પ્રવેશની પ્રતીકાત્મક ચાવી તથા નવા મંજૂર થયેલા 27 લાભાર્થીઓ પૈકી 6 ને આવાસ મંજૂરી હુકમ અને આયુષ્માન કાર્ડના 6 લાભાર્થીઓને આયુષ્માન કાર્ડનું વિતરણ કરાયું હતું. આ ઉપરાંત સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત સફાઈ કામદારોને પ્રશંસાપત્રો આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં વાપી નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી કાશ્મીરાબેન શાહ, ઉપપ્રમુખ અભયભાઈ શાહ, કારોબારી ચેરમેન મીતેશભાઈ દેસાઈ, વી.આઈ.એ.ના પ્રમુખ સતીષભાઈ પટેલ, સંગઠન મહામંત્રી શિલ્પેશ દેસાઈ, નોટીફાઈડના પ્રમુખ હેમંતભાઈ પટેલ, ચીફ ઓફિસર શૈલેષભાઈ પટેલ તેમજ નગરપાલિકાનો સ્ટાફ હાજર રહ્યા હતા.