(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.19: ચીખલી તાલુકામાં છેલ્લા બે દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વાદળછાયા વાતાવરણને પગલે વલોળ-પાપડી, તુવેર, રીંગણ, મરચા, ફલાવર, કોબીજ સહિતના શાકભાજીના પાકોમાં જીવાતનો ઉપદ્રવ વધી જતાં તેની સીધી અસર ઉત્પાદન પર થતા ખેડૂતોને નુકશાન વેઠવાની નોબત આવી છે. ચોમાસા બાદ કમોસમી વરસાદ ત્યારબાદ સળંગ ત્રણેક દિવસ ધૂમમ્સ અને હવેના દિવસથી વાદળ છવાતા ખેતીપાકો પર તેની માઠી અસર વર્તાવા પામી છે.
શાકભાજી ઉપરાંત ચીકુના પાક પર પણ વાદળછાયા વાતાવરણની અસર થઈ રહી છે. ચીકુના ફળોનો વિકાસ રૂંધાવા સાથે વજન નહિ ઉતરતા ખેડૂતોને નુકશાન થતું હોય છે. આ ઉપરાંત ચીકુના ઝાડ પર નવા ફળ પર પણ વિપરીત અસર વર્તાતી હોય છે.હાલે ચીખલી એપીએમસી દૈનિક 40-45 ટન ચીકુની આવક થઈ રહી છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તેમાં ઘટાડો થયો હોવાનું જાણવા મળ્યું હતુ.
તાલુકામાં ચીકુ ઉપરાંત કેરીનું ઉત્પાદન પણ મોટાપાયે થતું હોય છે. ત્યારે આંબા કલમના ઝાડો પર ફૂટ એટલે કે મંજરી આવવાનો સમય છે. પરંતુ આ માટે જોઈએ એટલી ઠંડી સાથેનું સાનુકૂળ વાતાવરણ પણ હમણાં સીધુ થયુ નથી તો બીજી તરફ મંજરી ફૂટવાના સમયે વાદળછાયા વાતાવરણથી તેના પર બ્રેક લાગી જવા પામી છે. કેટલાક ખેડૂતોએ દવાનો છંટકાવ પણ શરૂ કરી દીધો છે. પરંતુ હાલનું વાતાવરણ જોતા ખેડૂતોનો ખર્ચ અને મહેનત માથે પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે.
તલાવચોરાના ખેડૂત અગ્રણી રમેશભાઈના જણાવ્યાનુસાર વાદળછાયા વાતાવરણથી ચીકુના ફળનો વિકાસ અટકી જતો હોય છે. આંબા કલમ પર હાલે મંજરી આવવાનો સમય છે. પરંતુ તેના પર બ્રેક લાગી જતી હોય છે. વધુમાં વાદળછાયા વાતાવરણથી શાકભાજીના પાકોમાં ઈયળ સહિતના જીવાતોનો ઉપદ્રવ વધી જતાં ખેડૂતોએ નુકશાની વેઠવી પડી રહી છે.