(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.01 : કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલના આગમનથી જ તેમણે પ્રદેશના બાળકોને શિક્ષણ અને તેમના ઉજ્જવળ ભવિષ્ય સહિતના સર્વાંગી વિકાસ માટેના વિવિધ ચક્રો ગતિમાન કર્યા હતા. જેના ભાગરૂપે એમની પ્રેરણાથી મધ્યાહ્ન ભોજન યોજના અંતર્ગત લોક ભાગીદારીથી શાળાના બાળકોને સમયે સમયે તિથિ ભોજન આપવાના કાર્યક્રમનું પણ પદાર્પણ કર્યું હતું.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની પહેલથી સંઘપ્રદેશની આંગણવાડીના નાનાં ભૂલકાંઓથી લઈને શાળાના વિદ્યાર્થીઓને મધ્યાહ્ન ભોજનની સાથે સાથે દાતાઓ દ્વારા એમના પ્રાસંગિક દિવસોએ તિથિ ભોજન આપવાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા આજે દાદરા નગર હવેલીની 87 જેટલી પ્રાથમિક શાળાઓના 15 હજારથી વધુ બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે રિલાયન્સ ફાઉન્ડેશનના કર્મચારીઓ સાથે દાનહ જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેઓ દ્વારા બાળકોને આરોગ્યપ્રદ સંપૂર્ણ પૌષ્ટિક ભોજન પિરસવામાં આવ્યું હતું. જેનો શાળાના વિદ્યાર્થીઓએ હર્ષોલ્લાસ તથાખુશી-આનંદ સાથે લ્હાવો લીધો હતો.
અત્રે યાદ રહે કે, આંગણવાડીથી શાળાના બાળકોને મધ્યાહ્ન ભોજન સાથે પૂરક પૌષ્ટિક આહાર મળી રહે તે માટેના સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના તમામ પ્રયાસોને સાર્થક કરવાના ભાગરૂપે આજે એક નાનકડા પગલાં રૂપે તિથિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.