જિ.પં. સભ્ય સદાનંદ મિટનાની સફળ રજૂઆતનું પરિણામઃ સંઘપ્રદેશ પ્રશાસનના માનવીય અને સંવેદનશીલ અભિગમથી 60 પરિવારોના ચહેરા ઉપર ઝળકેલી ખુશી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.22: દમણ જિલ્લા પંચાયતના વરકુંડ વિભાગના જિ.પં. સભ્ય શ્રી સદાનંદ એમ. મિટનાની સફળ રજૂઆત અને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માનવીય અને સંવેદનશીલ અભિગમથી મેલેરિયા વિભાગમાંથી છૂટા કરાયેલા 60 જેટલા કર્મચારીઓને જિલ્લા પંચાયતમાં સમાવવાનો નિર્ણય લેવાતા કર્મચારીઓ અને તેમના પરિવારમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે. દમણ જિ.પં.ના વરકુંડ વિભાગના સભ્ય શ્રી સદાનંદ મિટનાએ ગરીબલક્ષી સંવેદનશીલ નિર્ણય લેવા બદલ સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનો દિલથી જાહેર આભાર પણ પ્રગટ કર્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે 1લી સપ્ટેમ્બર 2023મી થી મેલેરિયા વિભાગમાં ડેઈલી વેજીસ તરીકે કામ કરતા 60 જેટલા કર્મચારીઓને સાગમટે છૂટા કરાયા હતા. જેના કારણે તેમની સ્થિતિ ખૂબ જ વિકટ બની હતી. પરંતુ દમણ જિલ્લા પંચાયતના વરકુંડ વિભાગના સભ્ય શ્રી સદાનંદ મિટનાએ 10મીનવેમ્બરે જિલ્લા પંચાયતની મળેલ સામાન્ય સભામાં જિ.પં. પ્રમુખ શ્રીમતી જાગૃતિબેન પટેલ, મુખ્ય કાર્યકારી અધિકારી શ્રી આશિષ મોહન અને બીડીઓ શ્રી રાહુલ ભીમરાની ઉપસ્થિતિમાં મેલેરિયા કર્મીઓને છૂટા કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. જિ.પં. સભ્યશ્રી સદાનંદ મિટનાએ આપેલા કલેક્ટરશ્રીને 29મી સપ્ટેમ્બરના રોજ પત્ર લખી દરમિયાનગીરી કરવા રજૂઆત કરી હતી.
છેવટે સંઘપ્રદેશ પ્રશાસને તા.21મી ડિસેમ્બરે તમામ 60 કર્મચારીઓને કોન્ટ્રાક્ટ હેઠળ લેવાનો આદેશ કરતા તમામે પોતાની નોકરી પણ જોઈન કરતા જિ.પં. સભ્ય શ્રી સદાનંદ મિટનાએ પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલ તથા પ્રશાસનનો આભાર પ્રગટ કર્યો છે.