જાહેર બાંધકામ વિભાગમાં ડયુટી ઉપર તૈનાત કર્મચારીઓ કામ ઉપર ધ્યાન નહીં આપતાં હોવાથી પેદા થયેલી સમસ્યા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27 : દાદરા નગર હવેલીના અંતરિયાળ વિસ્તારમાં આવેલ માંદોની પટેલાદના પટેલપાડા અને આંબેચીમાળ ગામમાં પીવાના અને વપરાશમાં લેવાતા પાણીની સમસ્યા ખૂબ જ વિકટ બની હોવાની ફરિયાદ ગામની મહિલાઓએ જિલ્લા કલેક્ટરને કરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે માંદોની પટેલાદના પટેલપાડા અને આંબેચીમાળ ગામની મહિલાઓએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરતા જણાવ્યું છે કે, છેલ્લા કેટલાક મહિનાથી કૂવામાં પાણી હોવા છતાં તથા પાઈપલાઈન પણ હોવા છતાં અઠવાડિયામાં એક જ દિવસ પાણી આપવામાં આવી રહ્યું છે અને તે પણ ફક્ત અડધો કલાક જ આપવામાં આવે છે. પ્રધાનમંત્રીશ્રીની ‘હરઘર નલ સે જલ’ યોજના અંતર્ગત દરેક ઘરોમાં નળ પણ લગાવવામાં આવેલ છે. પરંતુ જ્યારથી નળ લાગ્યા ત્યારથી પાણી જ નહીં આવતાં લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. પાણીની વિકટ બનેલી સમસ્યા અંગે પમ્પ ઓપરેટર અને સરપંચને પણ જાણ કરવા છતાં સમસ્યાનું સમાધાન નહીં થયું હોવાનું જણાવાયું હતું.
માંદોનીના પટેલપાડા અને આંબેચીમાળમાં અઢીસોથી વધુ ઘરો આવેલા છે. જાહેર બાંધકામ વિભાગમાં ડયુટી ઉપર તૈનાત કર્મચારીઓ પણ કામ ઉપર ધ્યાન નહીં આપતાં આ સમસ્યા પેદા થઈ છે. જેથી ગામની મહિલાઓએ કલેક્ટરશ્રીને વિનંતી કરી આ બે ગામમાં પાણી સમયસર મળતુ થાય તેવી વ્યવસ્થા કરવા તાકિદ પણ કરી છે.