કાર્યક્રમના ઉદ્ઘાટક તરીકે ઉપસ્થિત રહેલા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ અને રોફેલ કોલેજ વાપીના પ્રો. ડો. હેમાલી દેસાઈએ વિદ્યાર્થીઓના વિકાસમાં સાંસ્કૃતિક અને ખેલકૂદના મહત્વ ઉપર કરેલી છણાવટઃ વિદ્યાર્થીઓ સાથે પણ કરેલો સંવાદ
અમૃત કાળ દરમિયાન વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને સ્કિલ ડેવલપમેન્ટ તથા નેતૃત્વશક્તિ ખિલવવાના હેતુથી દર વર્ષે વાર્ષિક સાંસ્કૃતિક અને ખેલ સપ્તાહનું કરવામાં આવતું આયોજનઃ પ્રિન્સિપાલ ડો. સંજય કુમાર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.27 : દમણની સરકારી કોલેજમાં તા.26 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર, 2023 સુધી ‘અમૃત પર્વ-2023-‘24’ના કાર્યક્રમ અંતર્ગત વાર્ષિક સાંસ્કૃતિક અને ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના ઉદ્ઘાટક તરીકે મુખ્ય અતિથિ પદે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ અને રોફેલ કોલેજ, વાપીના પ્રિન્સિપાલ પ્રો. ડૉ. હેમાલી દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ડૉ. હેમાલી દેસાઈએ પોતાના વક્તવ્યમાં વિદ્યાર્થી વિકાસમાં સાંસ્કૃતિક અને ખેલકૂદનું મહત્ત્વ શું છે અને વિદ્યાર્થી કાળમાં કેટલું જરૂરી છે તે અંગે મનનીય માર્ગદર્શન આપ્યું હતું. તેમણે આ વિષય ઉપર વિદ્યાર્થીઓ સાથે પણ ચર્ચા કરી તેમને સમજણ આપી હતી.
અમૃત પર્વ-2023-‘24 કાર્યક્રમના સંયોજક ડૉ. ભાવેશકુમાર વાળા અને ડૉ. પ્રશાંત પંતે એક સપ્તાહ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને પી.એચ.ડી. સ્તરના વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. સપ્તાહ સુધી યોજાનારા આ કાર્યક્રમમાં 26મી ડિસેમ્બરે કાવ્યપઠન અને રંગોળી સ્પર્ધા તથા શતરંગ કેરમની સ્પર્ધા સાથે આરંભ થયો હતો.આજે વક્તૃત્વ, નિબંધ, ચિત્રકળા સ્પર્ધા તથા બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ સ્પર્ધાની સાથે સાથે ટેબલ ટેનિસની રમતની સ્પધાનું પણ આયોજન કરાયું હતું.
આવતી કાલ તા.28મી ડિસેમ્બરે એકલ અને સમૂહગાન, બોલીવુડ પ્રશ્નોત્તરી સહ અંતાક્ષરી સ્પર્ધા તથા વોલીબોલ સ્પર્ધા યોજાશે. 29મી ડિસેમ્બરે એકલ નૃત્ય અને સમૂહ નૃત્ય સ્પર્ધા, નાટક(સ્કિટ/માઈમ/મોનોએક્ટ) સ્પર્ધા તથા ફૂટબોલ સ્પર્ધા યોજાશે. 30મી ડિસેમ્બરે ફેશન શૉ, સ્પર્ધા, આનંદ મેળો(ફનફેર), ટ્રાઈબલ ફૂડકોર્ટનું આયોજન કરાશે અને 31મી ડિસેમ્બરે શોર્ટપૂટ સ્પર્ધાની સાથે સાથે 100 મીટર, 200 મીટર, 400 મીટરની એથ્લેટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે દમણની સરકારી કોલેજના પ્રિન્સિપાલ ડૉ. સંજય કુમારે જણાવ્યું હતું કે, અમૃત કાળ દરમિયાન વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસના ઉદ્દેશથી ‘અમૃત પર્વ-2023-‘24’નું આયોજન કરવામાં આવ્યું છે. જેનાથી વિદ્યાર્થીઓમાં સ્કિલ ડેવલપમેન્ટ થવાની સાથે નેતૃત્વશક્તિ પણ વિકસે એ હેતુથી આ સપ્તાહનું દર વર્ષે આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સપ્તાહ દરમિયાન યોજાનારી વિવિધ સ્પર્ધાઓમાં જે વિદ્યાર્થીઓ પ્રથમ, દ્વિતીય અને તૃતિય સ્થાન પર આવશે તેમને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાશે.