16 વર્ષ પહેલાં યુ.ટી. ફંડમાંથી રૂા.500ના કરાયેલા વધારા બાદ આજ સુધી એક પણ રૂપિયાનો પગાર વધારો નહીં કરાતા આંગણવાડી બહેનોએ પ્રગટ કરેલો રોષ
પોતાની ફરજ ઉપરાંતના પણ અનેક કામો કરવા છતાં આંગણવાડી બહેનોની ઉપેક્ષા થતી હોવાની પ્રગટ કરેલી લાગણી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27 : દાદરા નગર હવેલીમાં કામ કરતી આંગણવાડી કાર્યકર્તા બહેનોએ આજે પોતાના પગાર વધારા અને પગાર નિયમિત મળે તે બાબતે જિલ્લા કલેક્ટરને સાગમટે રજૂઆત કરી હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ 10 દિવસની અંદર આંગણવાડી કાર્યકર્તા બહેનોના પ્રશ્નોના નિરાકરણમાટે આશ્વાસન આપતા આશા જીવંત રહી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાદરા નગર હવેલીમાં આઈ.સી.ડી.એસ. ડિપાર્ટમેન્ટ અંતર્ગત કાર્યરત આંગણવાડી કાર્યકર્તા બહેનોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, તેમને નિયમિત પગાર મળતો નથી અને પગાર પણ ખુબ જ ઓછો છે. માર્ચ-2007માં યુ.ટી. ફંડ દ્વારા રૂા.500ના કરાયેલા વધારા બાદ આજપર્યંત એક પણ રૂપિયાનો વધારો પગારમાં કરાયો નથી. આંગણવાડી કાર્યકર્તા બહેનોના જણાવ્યા પ્રમાણે દરેક વિભાગો તરફથી સોંપાતા કામો તેઓ નિષ્ઠાપૂર્વક અને પુરી ઈમાનદારીથી કરી રહ્યા છે. છતાં પણ છેલ્લા 16 વર્ષથી એક પણ રૂપિયાનો વધારો યુ.ટી. ફંડ મારફત કરાયો નથી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, પોતાના કામના સમય બાદ પણ અનેક પ્રકારની માહિતીઓ અને કામો માટે વારેઘડી મુખ્ય આંગણવાડી કેન્દ્ર પર બોલાવી મોડે સુધી બેસાડી રાખવામાં આવે છે અને તેમને આવવા-જવા માટેનું ભાડું પણ આપવામાં આવતું નથી. પ્રશાસકશ્રી સહિતના વી.આઈ.પી.ઓના કાર્યક્રમમાં ભીડનો હિસ્સો બનવા માટે પણ આંગણવાડી કાર્યકર્તા બહેનોનો ઉપયોગ કરવામાં આવે છે, છતાં પણ અમો આદેશને તાબે થતાં આવ્યા હોવાનું જણાવ્યું છે.
આંગણવાડી કાર્યકર્તા બહેનોએ જિલ્લા કલેક્ટરને સતત વધતી મોંઘવારીનાહિસાબે અમારા પગારમાં વધારો થાય તથા નિયમિત પગાર મળતો રહે તેવી વ્યવસ્થા કરવા આગ્રહભરી વિનંતી કરી છે. જિલ્લા કલેક્ટરે 10 દિવસની અંદર તેમની સમસ્યાનું યોગ્ય સમાધાન શોધવા આશ્વાસન આપ્યું હોવાનું આંગણવાડી કાર્યકર્તા બહેનોએ જણાવ્યું હતું.