ભીલાડ ખાતે સરપંચ સંઘના પ્રમુખ નરેન્દ્ર નાયકના અધ્યક્ષ સ્થાને મળેલી સરપંચોની બેઠકમાં છેલ્લા 10 વર્ષથી સાંસદની ગ્રાન્ટ ઉમરગામ તાલુકાને ફાળવવામાં ન આવતા હોવાનો મુદ્દો ચર્ચાના કેન્દ્રસ્થાને જોવા મળ્યો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.09: આજરોજ ભીલાડ ખાતે ઉમરગામ તાલુકાના સરપંચ સંઘની મળેલી બેઠકમાં વલસાડ ડાંગ સાંસદ ડો.કે. સી. પટેલનીઉમરગામ તાલુકા પ્રત્યે ઓરમાયું વલણ રાખવાની નીતિની ભારે ટીકા થવા પામી હતી. સરપંચ સંઘના પ્રમુખ અને ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકરના વિશ્વાસુ શ્રી નરેન્દ્રભાઈ નાયક તેમજ ધોડીપાડાના સરપંચ વિજયભાઈ રમણભાઈ પાટકરની હાજરી વચ્ચે માંડાના સરપંચ શ્રી પ્રભુભાઈ ઠાકરીયા સહિત ઉપસ્થિત તમામ સરપંચોએ સાંસદ ડો. કે. સી. પટેલની ઉમરગામ તાલુકા પ્રત્યે છેલ્લા દસ વર્ષથી અપનાવેલી ગ્રાન્ટ ન આપવાની નીતિનો મુદ્દો રજૂ થવા પામ્યો હતો. ઉપસ્થિત તમામ સરપંચોએ સાંસદ ડો. કે. સી. પટેલ આવનારી લોકસભાની ચૂંટણીમાં મતદારો સમક્ષ જાવા માટે સરપંચોને આગ્રહ ન કરે એવો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે નજીકના ભવિષ્યમાં લોકસભાની ચૂંટણી આવવાની હોય સામે આવેલો સાંસદ ડો.કે.સી.નો મુદ્દો આગામી ચૂંટણીમાં બેઠક ફાળવણી માટે રણનીતિનો એક ભાગ હોવાનું પણ આંકલન થઈ રહ્યું છે.
સરપંચ સંઘની બેઠકમાં આ ઉપરાંત પાયાની સુવિધાને લગતા પ્રશ્નો, રેશનકાર્ડ સુધારા સહિત મામલતદાર કચેરી અને તાલુકા વિકાસ અધિકારી કચેરીના તમામ પ્રશ્નોના સરળતાપૂર્વક નિકાલ થાય એવી કામગીરી સરપંચ સંઘ દ્વારા અધિકારીઓ સાથે સંકલન સાંધીને કરવામાં આવશે એવો નિર્ણય લેવામાં આવ્યો હતો.