1600 થી વધુ અરજી સામે આવતા રોજિંદા કાર્યમાં કચેરીએ અરજદારોનું કામ ટલ્લે ચડાવાતુ હોવાનું અનુમાન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.12: ઉમરગામ તાલુકાના નારગોલ ખાતે આજરોજ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. અરજદારોની અરજીનો નિકાલ પારદર્શક અને સરળ વહીવટીથી સ્થળ ઉપર જ આવી જાય એવા ઉદ્દેશથી સંલગ્ન વિભાગોની હાજરી વચ્ચે આયોજિત કાર્યક્રમમાં 1600 થી વધુ અરજીઓ સામે આવી હતી. અરજદારોની અરજી સાથે પુરાવાની પૂર્ણતા તથા મોટાભાગની અરજીનો સ્થળ ઉપર નિકાલ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. આ કાર્યક્રમમાં ઉમરગામ મામલતદાર શ્રીમતી જૈનીશ પાંડવ અને તાલુકા વિકાસ અધિકારી શ્રી સી. આર. પઢિયારની અધ્યક્ષતા હેઠળ તાલુકા પંચાયત, મામલતદાર કચેરી, આરોગ્ય વિભાગ, ડીજીવિજીસીએલ, સામાજીક વન વિભાગ, પશુ આરોગ્ય વિભાગ, બેન્ક સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓની હાજરી વચ્ચે સામે આવેલી અરજીનો નિકાલ પારદર્શક અને વહીવટી સરળ રીતે થવા પામ્યો છે. સામેઆવી અરજીમાં મહત્તમ પુરવઠા વિભાગ, આધારકાર્ડ, રેશનકાર્ડ વગેરેનો સમાવેશ થતો હતો.
આજના સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર, જિલ્લા પંચાયતનો સભ્ય શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી દિપકભાઈ મિષાી, તેમજ ગ્રામ પંચાયતના સરપંચોની ઉપસ્થિત વચ્ચે કરવામાં આવ્યો હતો.