સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ત્રણેય વરિષ્ઠ પોલીસ અધિકારીઓને બેચ લગાવી તેમના ઉજ્જવળ અને યશસ્વી ભવિષ્યની કરેલી કામના
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.12 : કેન્દ્રીયગૃહ મંત્રાલયના આદેશ મુજબ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પોલીસ અધિકારીઓને બઢતી આપવામાં આવી છે. જેમાં આઈ.પી.એસ. શ્રી મિલિંદ મહાદેવ દુમ્બેરેને નાયબ પોલીસ મહાનિરીક્ષક(ડી.આઈ.જી.પી.) પદેથી બઢતી આપતાં પોલીસ મહાનિરીક્ષક(આઈ.જી.)પદે નિયુક્ત કરાયા છે. જ્યારે વરિષ્ઠ આઈ.પી.એસ. અધિકારી દાનહના એસ.પી. શ્રી અમિત શર્મા અને દમણના એસ.પી. શ્રી રાજેન્દ્ર પ્રસાદ મીણાને બઢતી આપી સંઘપ્રદેશના નાયબ પોલીસ મહાનિરીક્ષક(ડી.આઈ.જી.પી.)બનાવાયા છે.
ગૃહ મંત્રાલય દ્વારા પદોન્નત કરાયેલા પોલીસ અધિકારીઓને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે રેંક પ્રદાન કરી તેમને પોતાના હોદ્દાના બેચ લગાવ્યા હતા અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ત્રણેય પોલીસ અધિકારીઓના ઉજ્જવળ અને યશસ્વી ભવિષ્યની કામના પણ કરી હતી.