નાની દમણના જલારામ મંદિર, દમણવાડાના સોપાની માતા મંદિર તથા સાંજે દિલીપનગર ડેવલપમેન્ટ એસોસિએશન દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.21 : આવતી કાલે ભગવાન શ્રી રામની જન્મ ભૂમિ અયોધ્યા ખાતે યોજાનારા ઐતિહાસિક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઉપલક્ષમાં સમગ્ર દાદરા નગર હવેલી અને દમણ-દીવ રામમય બની ગયું છે. આજથી જ ઘરોમાં દીવડાં અને જપ તપની વિધિ પણ શરૂ થઈ ગઈ છે.
આવતીકાલે અયોધ્યામાં ભગવાન શ્રી રામ લલ્લાના ઐતિહાસિક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઉપક્રમે દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં વિવિધ મંદિરો, વિવિધ વિસ્તારો અને વિવિધ સાંસ્કૃતિક તથા ધાર્મિક મંડળો દ્વારા વૈવિધ્યસભર કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેમાં દમણની શ્રી દિલીપનગર ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા ગણેશ પૂજા, હવન, મહા આરતી, ભજન સંધ્યા અને મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે નાની દમણના જલારામ મંદિર ખાતે પણ સવારે 10:30 વાગ્યાથી વિગ્રહ પૂજન, ભજન, ભજન, પ્રાણ પ્રતિષ્ઠા પૂજન, સામુહિક આરતી અને મહા પ્રસાદનુંઆયોજન કરવામાં આવ્યું છે. શ્રી રામ જન્મ ભૂમિ તીર્થ ક્ષેત્ર અયોધ્યામાં થનારા શ્રી રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું જીવંત પ્રસારણ નિહાળવાની વ્યવસ્થા પણ શ્રી જલારામ મંદિર તીન બત્તી નાની દમણના કેમ્પસમાં કરવામાં આવેલ છે.
મોટી દમણ ખાતે દમણવાડા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ સોપાની માતાના ઐતિહાસિક પ્રાચીન મંદિરના પટાંગણમાં ભજન-કિર્તન, ગરબા, મહાપ્રસાદ તથા શ્રી રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના જીવંત પ્રસારણની વ્યવસ્થા પણ કરવામાં આવનાર છે.
દીવ અને દાદરા નગર હવેલીમાં પણ શ્રી રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના જીવંત પ્રસારણને સામુહિક નિહાળવા અને પ્રસંગને અનુરૂપ અનેક પાવન કાર્યો કરવામાં આવનાર છે. મર્યાદા પુરૂષોત્તમ શ્રી રામ ભગવાનની દિવ્યતા અને ધન્યતાથી સમગ્ર પ્રદેશ રામમય બની ચુક્યો છે.