(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.28
કોરોનાની ત્રીજી લહેરને લઈ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આદેશ મુજબ ગુજરાત સરકાર એલર્ટ બની ગઈ છે અને ‘‘હર ઘર દસ્તક” કાર્યક્રમ અંતર્ગત પારડી નગર પાલિકાના ચૂંટાયેલા વોર્ડના સભ્યોએ તથા ભાજપ સંગઠનના હોદ્દેદારો પોતપોતાના વોર્ડમાં જઈ દરેક ઘરે તપાસ હાથ ધરી છે કે મારા વોર્ડમાં કોઈ વ્યક્તિનું રસીકરણ બાકી તો નથી ને? જો બાકી હોય તો તેઓની નોંધણી કરી તેમને તાત્કાલિક રસીકરણનો લાભ આપવામાં આવશે અને જે ઘરે તમામ સભ્યોએ રસીકરણ કરાવ્યું હોય તે ઘરે ઘરના દરવાજા પર ‘‘મારૂં ઘર રસીકરણ યુક્ત-કોરોના મુક્ત”નું સ્ટીકર ચોંટાડી ઓળખ ઉભી કરાશે.
પારડી નગરપાલિકાના દરેક વોર્ડમાં જે તે વોર્ડના ચૂંટાયેલા સદસ્યો તથા ભાજપ સંગઠનના હોદ્દેદારો, અગ્રણીઓ તેમના વોર્ડના ઘરે ઘરે જઈ રસીકરણ અભિયાન ચલાવી પોતાના ઘર, ફળિયુ, વોર્ડ અને સમગ્ર નગરને રસીકરણ યુક્ત બનાવીસંપૂર્ણ નગરને કોરોના મુક્ત બનાવશે.
આજરોજ પારડી નગરના વોર્ડ નંબર-1માં આ અભિયાન ચલાવી લોકોના ઘરે ઘરે જઈ તપાસ હાથ ધરી કોઈ રસીકરણથી બાકી ન રહી જાય તેની નોંધ કરી જે ઘરના દરેક સભ્યોએ રસીકરણ કરાવ્યુ છે તે ઘરે સ્ટીકરો લગાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પારડી શહેર ભાજપ પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલની સાથે તેમની ટીમ અને નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો જોડાઈને આ અભિયાન સફળ બનાવી રહ્યા છે.