પ્રમુખ અને 12 એક્ઝિકયુટિવ કમિટી મેમ્બર માટે અગામી 7 મી માર્ચના રોજ યોજનારી ચૂંટણી માટે 9 મી ફેબ્રુઆરીથી 19 મી ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્રક રજૂ કરાશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.05: સરીગામ ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશન ચૂંટણી જંગના એલાન સાથે ઉદ્યોગપતિઓમાં બેઠકનો દોર ચાલુ થઈ જવા પામ્યો છે. એસ.આઈ.એ.ના 571 મેમ્બરો આગામી બે વર્ષની મુદત(2024-2025 અને 2025-2026) માટે પ્રમુખ અને 12 એક્ઝિકયુટિવ કમિટી મેમ્બર માટેમતદાન કરશે.
એસ.આઈ.એ.ના પ્રમુખ શ્રી કમલેશભાઈ ભટ્ટ અને સેક્રેટરી શ્રી હેમંતભાઈ મંડોલીએ જાહેર કરેલ ચૂંટણી કાર્યક્રમ મુજબ અગામી 7 મી માર્ચના રોજ ચૂંટણી યોજાશે. આ પહેલા ઉમેદવારી પત્રક 9 મી ફેબ્રુઆરીથી 19 મી ફેબ્રુઆરી સુધી રજુ કરવાનો સમય નક્કી કરવામાં આવ્યો છે. 21 મી ફેબ્રુઆરીના રોજ ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવશે. 24 મી ફેબ્રુઆરીના રોજ ઉમેદવારી પત્રક પરત ખેંચી શકશે અને અંતિમ યાદી 26 મી ફેબ્રુઆરીના રોજ જાહેર કરવામાં આવશે.
અત્રે નોંધનીય છે કે, એસઆઈએના વહીવટ કરતા અને અગ્રણી ઉદ્યોગપતિઓએ ચૂંટણીનું પરિણામ સમરસથી આવે એવું બે વર્ષ અગાઉ નક્કી કરેલું છે. આ વિચારધારા અમલમાં આવે અને લેવાયેલા નિર્ણય મુજબ પ્રમુખની પસંદગી કરવામાં આવે તો પ્રમુખ તરીકે શ્રી નિર્મલભાઈ દુધાનીના નામની જાહેરાત થઈ શકે એવું જણાઈ રહ્યું છે. પરંતુ બે વર્ષના પસાર થયેલા સમયના વહેણમાં પરિવર્તન આવ્યું છે. જે જોતા પ્રમુખ તરીકે શ્રી શિરીષભાઈ દેસાઈનુ નામ જાહેર થઈ શકે એવા સંજોગો દેખાઈ રહ્યા છે. હાલમાં શ્રી શિરીષભાઈ દેસાઈ પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળવા તૈયાર નથી એવી જાહેરાત એમના નિકટવર્તી સાથીઓ દ્વારા કરવામાં આવી રહી છે. ત્રીજુ નામ વર્તમાન પ્રમુખ શ્રી કમલેશભાઈભટ્ટનુ છે. પ્રમુખ તરીકે મેળવેલો અનુભવ અને વહીવટ કરવાની ક્ષમતા જોતા પ્રમુખ તરીકે ફરી રીપીટ થઈ શકે એવી શકયતા પણ દેખાઈ રહ્યી છે. અને ચોથું નામ નોટિફાઈડ બોર્ડના ચેરમેન અને વાપી પાલિકાના કાઉન્સિલર શ્રી કૌશિકભાઈ પટેલનું નામ પણ પ્રમુખ તરીકે અગ્રેસર જોવા મળી રહ્યું છે. શ્રી કૌશિકભાઈ પટેલ પાસે એસઆઈએમાં સેક્રેટરી તરીકેનો સફળ કામગીરીનો અનુભવ છે. આમ ચૂંટણીની જાહેરાત બાદ એસ.આઈ.એ.ના અગ્રણી ઉદ્યોગપતિઓમાં મિટિંગનો દોર અને પ્રમુખ તરીકે પસંદગી કરવાની ચર્ચા ચાલુ થઈ જવા પામી છે.