દાનહના લોકોએ વીજળી અંગેની વિવિધ સમસ્યા મુદ્દે કરેલી રજૂઆતઃ લોકો માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓની રહેલી સૂચક ગેરહાજરી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06 : દાદરા નગર હવેલી અને દમણ દીવમાં વીજ વિભાગના ખાનગીકરણ બાદ સ્થાનિક વીજગ્રાહકો વિવિધ ફરિયાદો ઉઠાવી રહ્યા છે, જેના કારણે જોઈન્ટ ઈલેક્ટ્રિસિટી રેગ્યુરેટરી કમિશન(જેઈઆરસી) દ્વારા જાહેર સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. સેલવાસના કલા કેન્દ્ર ખાતે આયોજીત જાહેર લોક સુનાવણીમાં દાદરા નગર હવેલીના વીજ ગ્રાહકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. લોકોએ વીજ પુરવઠો પુરો પાડતા ટોરેન્ટ પાવરના વહીવટ બાબતે અને તેમને પડતી વિજળી બાબતની વિવિધ મુશ્કેલીઓની રજૂઆતો કરી હતી. ખાસ કરીને લોકોએ સરકાર દ્વારા વીજ વિભાગના કરાયેલા ખાનગીકરણનો જોરદારવિરોધ નોંધાવ્યો હતો.
સંઘપ્રદેશ પ્રશાસન હસ્તકના ડીએનએચ પીડીસીએલ વિભાગને ટોરેન્ટ પાવરના હાથમાં સોંપી દીધા બાદથી વધુ પડતા આવતા વીજળીના બિલ, વારેઘડીએ ખોટકાતો વીજ પ્રવાહ તથા વીજલાઈનની સારસંભાળ વગેરે જેવી સમસ્યાને લઈને લોકોએ જન સુનાવણીમાં ફરિયાદો કરી હતી. અરજકર્તાઓએ જણાવ્યું હતું કે, કેટલીક સમસ્યા બાબતની ફરિયાદો ઉપર ઝડપથી કાર્યવાહી પણ ન કરાતી હોવાનું અને ટોરેન્ટ પાવરના અધિકારીઓ અને કર્મચારીઓ વીજ ગ્રાહકોની ફરિયાદ સાંભળતા નહીં હોવાની પણ રજૂઆતો જેઈઆરસીના અધિકારીઓ સામે કરી હતી.
સેલવાસ ખાતે યોજાયેલી જાહેર લોક સુનાવણીમાં દાનહના ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ હાજર નહીં રહેતા લોકોમાં રોષ ફેલાયો હતો. ફક્ત સામાન્જ ગ્રાહકો અને ઉદ્યોગપતિઓ સહિત કેટલાક અગ્રણીઓની ઉપસ્થિતિમાં જન સુનાવણી સમાપ્ત થઈ હતી.