વિસ્તારના રહીશો તથા ધંધાર્થીઓદ્વારા આડેધડ ફેંકાતા કચરાના ખડકાયેલા ડુંગરઃ આવા વિસ્તારોમાં ‘સ્વચ્છતા અભિયાન’ની આવશ્યકતા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.08 : સેલવાસના આમલી વિસ્તારમાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ઘન કચરાના ખડકલામાં અચાનક આગ લાગતા લોકોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર શ્રી ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીયલ એરિયા 66 કેવી આમલી-સેલવાસમાં આજુબાજુના ગાળાવાળાઓએ પુઠા સહિતનો ઘન કચરો ગમે તેમ વેરવિખેર હાલતમાં ફેંકી દીધેલ હોય જેમાં અચાનક કોઈક કારણોસર આગ લાગતા વિસ્તારમાં રહેતા લોકોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. અચાનક ફાટળી નિકળેલી આગના કારણે આજુબાજુના ગાળામાં પણ આગ પકડી લીધી હતી.
ઘટનાની જાણ ફાયર વિભાગને કરતા તાત્કાલિક તેમની ટીમ ધસી આવી હતી અને સતત એક કલાક સુધી પાણીનો મારો ચલાવ્યો હતો, અંતે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવા ફાયર ફાઈટરોને સફળતા મળી હતી.
અત્રે નોંધનીય છે કે, ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર તથા આજુબાજુના વિસ્તારમાં ઘન કચરાના ડુંગરો ખડકાયેલ છે. ઉપરાંત આ વિસ્તારમાં મોટાભાગે પરપ્રાંતિય લોકો લોકો વસવાટ કરી રહ્યા છે. જેઓ તેમનો ઘરનો કચરો પણ ગમે તેમ ખુલ્લામાં ફેંકી દેતા હોય છે. ખડકાયેલા ઘન કચરાના કારણે ફાયર વિભાગનાજવાનોને આગ ઓલવવા માટે અંદર જવામાં ભારે તકલીફનો સામનો કરવા પડયો હતો. સદ્નશીબે આગની ઘટનામાં કોઈને પણ ઇજા કે જાનહાનીની ઘટના બનવા પામેલ નથી.