(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.08 : સિવિલ સપ્લાય વિભાગ દાનહ દ્વારા પ્રદેશમાં આજે વધુ એક પેટ્રોલ પમ્પ સીલ કરવામાં આવ્યો હતો. જેના કારણે પેટ્રોલ-ડીઝલ પંપના સંચાલકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સાયલી ગામના માલીબા પેટ્રોલિયમ દ્વારા લાયસન્સ વગર ડીઝલ અને પેટ્રોલનું વેચાણ કરી રહ્યા હોવાની બૂમ ઉઠી રહી હતી. પંપના સંચાલકો દ્વારા પેટ્રોલ-ડીઝલનું વેચાણ માટેનું લાયસન્સ ઘણાં સમયથી રીન્યુ નહીં કરવામાં આવેલ હોવા છતાં પણ પેટ્રોલ-ડીઝલનું વેચાણ પમ્પ ઉપર ચાલુ હતું. આ બાબત સંઘપ્રદેશ સિવિલ સપ્લાય વિભાગના ધ્યાનમાં આવતા અધિકારીઓએ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન પ્રમાણે પેટ્રોલ પંપની તપાસ કરી હતી. જેમાં જાણવા મળેલ કે માલીબા પેટ્રોલિયમનું લાયસન્સ ઘણાં સમયથી રીન્યુ કરવામાં આવેલ નથી. છતાં પણ પેટ્રોલ-ડીઝલની વેચાણપ્રક્રિયા ચાલુ જ રાખવામાં આવી હતી. આવી ગેરરીતિ દાખવવાના કારણે તાત્કાલિક સિવિલ સપ્લાય વિભાગના અધિકારીઓએ પેટ્રોલપંપને સીલ કરવાનો નિર્ણય લીધો હતો અને અધિકારીઓ દ્વારા પંપ સંચાલકોને તેમનું લાયસન્સ વહેલી તકે રીન્યુ કરાવવા માટે નિર્દેશ પણ આપવામાં આવ્યો હતો.
અત્રે યાદ રહે કે, દાનહમાં એક મહિનામાં આ ત્રીજો પેટ્રોલપંપ સીલ કરવામાં આવ્યો હોવાની ઘટના બની છે. જેમાં મોરખલમાં મનીષા પેટ્રોલ પંપ, દાદરામાં રતન પેટ્રોલ પમ્પ અને હવે સાયલી ખાતેના માલીબા પેટ્રોલ પમ્પને પણ સીલ કરવામાં આવ્યો છે.