(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.14 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શનમાં કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવને જડમૂળથી રક્તપિત્ત રોગની નાબૂદી માટે 30 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી, 2024 સુધી રક્તપિત્ત નાબૂદીઅંગે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જેમાં દાદરા નગર હવેલી, દમણ અને દીવ જિલ્લાની તમામ પંચાયતોમાં ગ્રામસભાઓ યોજવામાં આવી હતી. આ અવસરે કલેક્ટરશ્રી દ્વારા જારી કરેલ રક્તપિત્ત નાબૂદી માટેના શપથ લેવડાવવામાં આવ્યા હતા અને તેના સંદર્ભે સમાજમાં વ્યાપ્ત ભય અને ભ્રાંતિઓને દૂર કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. સાથે રક્તપિત્તના સામાજીક કલંકને મિટાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પખવાડિયા દરમ્યાન આરોગ્ય વિભાગના અધિકારીઓની મદદથી પ્રદેશના ત્રણેય જિલ્લામાં દરેક ગામોમાં રક્તપિત્ત નાબૂદી માટે જાગરૂકતા અને જન સહભાગિતાને લઈને વિવિધ કાર્યક્રમો આયોજીત કરવામાં આવ્યા હતા. જેમાં સવારના હાટબજારમાં સભા કરી લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા અને પેમ્ફલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. દરમ્યાન ગામડાઓની સરકારી શાળાઓમાં પણ વિવિધ પ્રકારની સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓને રક્તપિત્ત રોગ અંગે જાણકારી આપવામાં આવી હતી.
રક્તપિત્ત રોગ વિભાગ દ્વારા સર્વે પણ કરવામાં આવ્યો હતો જેમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઘરે ઘરે જઈ શંકાસ્પદ દર્દીઓને શોધવામાં આવ્યા હતા. જેથી તેઓને શરૂઆતમાં જ રોગ અંગેની પુષ્ટિ કરીને દવા ખવડાવી વિકલાંગતાથી બચાવી શકાય.
આ અભિયાનના સમાપન સમારોહ કાર્યક્રમનું આયોજનખરડપાડા પંચાયતમાં સરકારી શાળાની છાત્રાલયમાં કરવામાં આવ્યું હતું. જેમાં આરોગ્ય વિભાગ અને પંચાયતના કર્મચારીઓની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને જાણકારી આપવામાં આવી હતી. ત્યારબાદ તબીબ-દર્દીની ભૂમિકા નિભાવી રક્તપિત્ત રોગ પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા હતા, સાથે પ્રશ્નાવલી સ્પર્ધા યોજી વિજેતાઓને પુરસ્કાર વિતરણ કરવામાં આવ્યા હતા.
આ સમાપન સામારોહમાં ખરડપાડા પંચાયત સભ્ય શ્રી શૈલેષ બાલુ ગરાસિયા અને નરોલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર ડો. વિરેન્દ્ર સોલંકી, જિલ્લા રક્તપિત્ત રોગ સલાહકાર ડો. વિનિતા રાજગર અને આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અભિયાન નેશનલ હેલ્થ મિશનના નિર્દેશક શ્રી સુરેશ મીણા દ્વારા કાર્યક્રમ અધિકારી ડો. મનોજ સિંહના નિર્દેશનમાં સંપન્ન કરવામાં આવ્યો હતો.
દાનહ અને દમણ-દીવ રક્તપિત્ત રોગને પ્રદેશમાંથી જડમૂળથી નાબૂદ કરવા માટે સંકલ્પબધ્ધ છે અને તેના પ્રયાસ સ્વરૂપે પ્રદેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં કેટલીક સીમા સુધી રક્તપિત્ત રોગના ફેલાવાને ઘટાડવા સફળ રહ્યું છે અને હાલમાં વર્ષ 2015ના મુકાબલે અંદાજીત 80 ટકા ઘટાડો થયો હોવાનું જણાયું છે.