(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.14: તા.14મી ફેબ્રુઆરીના રોજ પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલમાં વસંત પંચમી નિમિત્તે પ્રાર્થના સભામાં માઁ સરસ્વતી પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનાં ઉપલક્ષ્માં શાળાનાં આચાર્યશ્રી અનુપમ ઉપાધ્યાય અને શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા માતા સરસ્વતી પૂજન અને આરતી કરી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓને પ્રસાદ વહેંચવામાં આવી હતી. વસંત પંચમી કાર્યક્રમ બાદ ‘માતૃ-પિતૃ પૂજન’ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.
વિશ્વમાં સર્વોત્તમ સ્થાન માતા-પિતાનું છે. ઈશ્વર પણ પોતાના માતા-પિતા આગળ નતમસ્તક થાય છે. માતા-પિતાના પ્રેમ સંસ્કાર, શિક્ષણ તથા આશીર્વાદથી કોઈ પણ મુશ્કેલથી મુશ્કેલ કામ સરળતાથી થઈ જાય છે. પ્રથમ પૂજનીય ગણપતિ બાપાએ માતા-પિતાનાં ચરણોમાં સંપૂર્ણ વિશ્વ છે એ વાત શીખવી છે. માતા-પિતાનું સમ્માન કરવું દરેક સંતાનનું કર્તવ્ય છે અને એ જ સાચા અર્થમાં વેલેન્ટાઈન ડેની ઉજવણી છે. આ વાતને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા તા.14મી ફેબ્રુઆરીના રોજ પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલમાં ‘માતૃ-પિતૃ પૂજન’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાનાં તમામ વિદ્યાર્થીઓએ માતા-પિતાનું પૂજન કરી એમના અમૂલ્ય અને અસીમ પ્રેમની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. વિદ્યાર્થીઓએ માતા-પિતાનેઆસન ઉપર બેસાડી, કુમકુમ અક્ષતનો તિલક કરી એમના ચરણ કમળને શુદ્ધ જળથી પખાળીને પુષ્પ ચઢાવી મિઠાઈ ખવડાવી હતી. ત્યારબાદ પ્રદક્ષિણા કરી એમનાં ચરણ સ્પર્શ કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતાં. મુસ્લિમ ધર્મના વિદ્યાર્થીઓએ એમના માતા-પિતાના હાથનો મુસાફો કરી આશીર્વાદ લીધા હતા તેમજ ઈસાઈઓએ એમના માતા-પિતાનાં હાથ ચૂમી આલિંગન કરી એમનાં પ્રેમની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
વાલી મંડળ અનુસાર આ કાર્યક્રમ એકમાત્ર પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલમાં જ આયોજિત થાય છે અને આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓએ 14મી ફેબ્રુઆરીને અનોખી રીતે ઉજવી સાચા પ્રેમની સમજ પ્રાપ્ત કરી હતી. જે ખૂબ જ ખુશી અને ગર્વની બાબત છે.
આ સમગ્ર કાર્યક્રમ શાળાનાં આચાર્યશ્રી અનુપમ ઉપાધ્યાયનાં નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યો હતો.