પંચાયતના શાસનથી શાસક પક્ષના નારાજ ચાર સભ્યો અને વિરોધ પક્ષના આગેવાનો સાથે સંકલન કરી અગ્રણી શ્રી રાજેશભાઈ શ્યામલાલ રાઠોડના માર્ગદર્શન હેઠળ એમના નિવાસસ્થાને મળેલી બેઠકમાં બજેટ નામંજૂર કરવાનો નિર્ણય લેવાયો હતો જે સામાન્ય સભામાં સફળ થતાં પંચાયતનું શાસન ડગમગી જવા પામ્યું છે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.15: ઉમરગામ તાલુકાના સરીગામપંચાયતની આજરોજ મળેલી સામાન્ય સભામાં વર્ષ 2024-25 નું રજૂ થયેલું બજેટ નામંજુર થતાં સરપંચ શ્રી સહદેવભાઈ વઘાત અને એમની ટીમમાં ભારે ખળભળાટ મચી જવા પામી છે. પંચાયતના 20 સભ્યોમાંથી 11 સભ્યોએ બજેટને નામંજૂર કરવા સમર્થન કર્યું હતું અર્થાત શાસક પક્ષના ચાર સભ્યો વિરોધ પક્ષની પેનલમાં જોડાઈ ગયા હોવાનું ચિત્ર સામે આવ્યું હતું. આ સમગ્ર ઘટના સામાન્ય સભામાં એકાએક સામે આવતા સરપંચ શ્રી સહદેવભાઈ વઘાત અને એમની ટીમ ભારે ધમપછાડા કરતી જોવા મળી હતી. સર્જાયેલા ગરમા ગરમી વાતાવરણમાં બજેટનો વિરોધ કરનાર સભ્યો પાસે ખુલાસો માંગતા સભ્યોએ પક્ષપાતી વલણ અને વહીવટમાં વિશ્વાસમાં નહીં લેતા હોવાનું કારણ જણાવી બજેટના વિરોધમાં અડગ રહ્યા હતા.
સરીગામ પંચાયતમાં આવેલી અસ્થિરતાના પગલે વિરોધ પક્ષ (ભાજપા)ના સરીગામના કાર્યકર્તાઓમાં બહુમતી વધી જતા જોમ આવી જવા પામ્યો હતો. ભાજપા કાર્યકર્તાઓના સંગઠનમાં સામેલ થનાર પંચાયતના ચાર સભ્યો શ્રીમતી ઉષાબેન હળપતિ, શ્રીમતી મંજુબેન હળપતિ, શ્રીમતી અસ્મિતાબેન હળપતિ અને શ્રી ગણેશભાઈ કોમે ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકરના નિવાસ્થાને ભાજપા તાલુકા સંગઠન પ્રમુખ શ્રી દિલીપભાઈ ભંડારી અને ભાજપા અગ્રણી શ્રી મનીષભાઈ રાયની ઉપસ્થિતિ વચ્ચે ધારાસભ્યના હસ્તે ભાજપનોખેસ ધારણ કરી વિધિવત ભાજપમાં જોડાણ કર્યું હતું. હવે સરીગામ પંચાયત સ્તરે આવેલી ઉથલપાથલનું અંતિમ પરિણામ શું આવે એ જોવું રહ્યું. સરીગામ પંચાયત પાસે બજેટ મંજુર કરવા માટે હજુ બે તક મળવાની શકયતા છે પરંતુ સભ્યોની બહુમતી સરપંચ પાસે નહીં રહેતા વહીવટ કરવું મુશ્કેલ બની રહેશે એવું આંકલન કરવામાં આવ્યું છે.