(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.23: દાદરા નગર હવેલીના મુખ્ય મથક સેલવાસના ભુરકુડ ફળિયામાં રહેતા યુવાને કોઈક અગમ્ય કારણોસર ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી હોવાની ઘટના બનતા ચકચાર મચી હતી. પ્રાપ્ત વિગત પ્રમાણે પ્રતિકકુમાર વિનોદચંદ્ર ખાખર (ઉ.વ.39) હાલ રહેવાસી ભુરકુડ ફળિયા- સેલવાસ અને મુળ રહેવાસી ધરમપુર. પ્રતિકકુમાર વિનોદચંદ્ર ખાખર દાનહની એક ખાનગી શાળામાં સંગીત શિક્ષક તરીકે નોકરી કરતા હતા. પ્રતિકકુમારે બપોરે શાળામાંથી ઘરે આવી કોઈક અગમ્ય કારણોસર ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાની જાણ થતાં આજુબાજુના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. જ્યારે એમની શિક્ષિકા પત્નીએ ઘરે આવીને જોયું તો એમના પતિ ગળે ફાંસો લગાવેલ હાલતમાં હતા. આ જોઈ તેમના પગ નીચેથીજમીન ખસી ગઈ હતી. આ ઘટનાની જાણ થતા આજુબાજુના લોકોએ પોલીસને જાણ કરતા પોલીસની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને લાશનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ(પી.એમ.) માટે સેલવાસની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.