(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.28: શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સલવાવ દ્વારા સંચાલિત શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા સલવાવ દ્વારા ‘‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ”ની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ભારત દેશમાં વિજ્ઞાન દ્વારા થતા લાભો પ્રતિ સમાજમાં જાગૃતિ લાવવા અને વૈજ્ઞાનિક વિચારસરણી જાગૃત કરવાના હેતુ માટે રાષ્ટ્રીય વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી પરિષદ (નેશનલ સાયન્સ અને ટેકનોલોજી કાઉન્સિલ) અને વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રાલય (મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી), ભારત સરકારના ઉપક્રમે દર વર્ષે ફેબ્રુઆરી 28ના દિવસે ભારતમાં ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસનો મૂળ હેતુ યુવાન વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રતિ આકર્ષિત તેમ જ પ્રોત્સાહિત કરવા અને સામાન્ય જનતાને વિજ્ઞાન અને વૈજ્ઞાનિક સિદ્ધિઓ પ્રતિ સજાગ રાખવાનો છે. આજ રોજ શાળા સભામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉપર નૃત્ય, વિવિધ પ્રયોગો તેમજ વક્તવ્ય તથા તમામ વર્ગખંડમાં વૈજ્ઞાનિક અને તેનો પરિચય વિદ્યાર્થીઓ દ્વારા જ આપવાની પ્રવૃત્તિ હાથ ધરાય હતી. આ પ્રસંગ પૂજ્ય પુરાણી સ્વામીજીએ વિદ્યાર્થીઓને આજના યુગમાં વિજ્ઞાનની સમજ કેટલી જરુરીછે તે અંગે માર્મિક પ્રવચન આપ્યું હતું. આ આયોજન શાળાના આચાર્યશ્રી ચંદ્રવદન પટેલના માર્ગદર્શન અને તમામ શિક્ષકોના સહયોગથી કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ અંતર્ગત વૈજ્ઞાનિકોના પરિચય ઉપર સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થી ધોરણ-1 જિયલ આર. રબારી, ધોરણ-2 હર્ષ એ પટેલ, ધોરણ-3 પન્ના આર. વાળા, ધોરણ-4 ઝીલ એ. પટેલ, ધોરણ-પ અંશ આર. વાઘમશી, ધોરણ-6 દેવાંગીની જે ભોયા, ધોરણ-7 જૈનિલ એસ. પટેલ, ધોરણ-8 જીનિશ એચ. માહ્યાવંશી અને ધોરણ 9 અને 11 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓએ વિવિધ પ્રોજેક્ટ અને મોડેલ બનાવ્યા હતા. આ તમામ વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લઈ પોતાની પ્રતિભાને બહાર લાવી પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરતાં સ્પર્ધામાં વિજેતા થયેલ સર્વે વિદ્યાર્થીઓને મેનેજીંગ ટ્રસ્ટી પૂજય કપિલ સ્વામીજી, ડાયરેક્ટર શ્રી હિતેનભાઈ ઉપાધ્યાય, ડાયરેક્ટર શ્રી ડૉ.શૈલેષ લુહાર શાળાના આચાર્યશ્રી ચંદ્રવદન પટેલ તથા શિક્ષકગણો અને શાળા પરિવાર દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.