ટોલટેક્ષ બચાવવા કે કોઈ અન્ય કારણોસરછેલ્લાં ઘણા સમયથી ખારેલ-રાનકુવા-ધરમપુર-નાસિક રાજ્યધોરી માર્ગ ઉપર કન્ટેઈનર સહિત આંતર રાજ્ય હેરાફેરી કરતા ભારે વાહનોની અવર જવર વધી જવા પામી છે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.29: ચીખલી-વાંસદા અને ખારેલ-ધરમપુર રાજ્યધોરી સ્થિત રાનકુવા સર્કલ પાસે અવાર નવાર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે. ખારેલ પાસે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર-48 અને ધરમપુરથી આગળ નાસિક-મહારાષ્ટ્રને જોડતો રાજ્ય ધોરીમાર્ગ ભારે વાહનોની અવર જવરથી ધમધમતો રહે છે. ખારેલ-રાનકુવા માર્ગ ઉપર ટાંકલ ચાર રસ્તાથી મહુવા-સુરતની પણ કનેક્ટિવિટી છે.
ઉપરોક્ત સંજોગોમાં ટોલટેક્ષ બચાવવા માટે કોઈ અન્ય કારણોસર એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં માલસામાનની અવર જવર કરતા કન્ટેઇનર સહિતના લંબાઈવાળા ભારે વાહનોની અવાર જવર ખારેલ-રાનકુવા-ધરમપુર રાજ્ય ધોરીમાર્ગ પર ઘણા લાંબા સમયથી વધી જવા પામી છે. મુંબઈ-સુરત-અમદાવાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગના સ્થાને આ રાજ્ય ધોરીમાર્ગ કે જે ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થાય છે. તેના પરથી આવા ભારે વાહનો દોડતા રાનકુવા સર્કલ પર ઘણીવાર ટ્રાફિક થઈ જતું હોય છે. બીજી તરફ બેફામ દોડતા ભારે વાહનોથી ગ્રામ્ય વિસ્તારમાં સ્થાનિકોમાં અકસ્માતનું જોખમ પણ વધી જવા પામ્યું છે.