દાનહમાં લોકસભાની ચૂંટણી દરમિયાન એક અને નેક બની ફરી બેઠક કબ્જે કરવા કાર્યકરોમાં પેદાથયેલો જોમ અને જુસ્સો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29: દાદરા નગર હવેલી મહિલા કોંગ્રેસના અધ્યક્ષ તરીકે શ્રીમતી માધુરીબેન શશિકાંત માહલાની નિયુક્તિની જાહેરાત ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમીટિ દ્વારા કરવામાં આવતાં કોંગ્રેસીઓમાં આનંદની લાગણી છવાઈ છે.
દાદરા નગર હવેલી મહિલા કોંગ્રેસના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયેલા શ્રીમતી માધુરીબેન શશિકાંત માહલાની વરણીને દાનહ કોંગ્રેસ અધ્યક્ષ શ્રી મહેશભાઈ શર્માએ વધાવી તેમને અભિનંદન પાઠવ્યા હતા.
દાદરા નગર હવેલી કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના આગેવાન શ્રી મહેશભાઈ ધોડી, શ્રી કેતનભાઈ પટેલ, શ્રી રાજેશભાઈ શુક્લા, શ્રી અજીત માહલા, શ્રી શશિકાંત માહલા સહિત કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી શ્રીમતી માધુરીબેન માહલાની નિયુક્તિને વધાવી હતી અને મિઠાઈ વહેંચી આનંદ મનાવ્યો હતો.
દાનહ ટેરિટોરિયલ કોંગ્રેસ અધ્યક્ષ શ્રી મહેશભાઈ શર્માના જણાવ્યા પ્રમાણે છેલ્લા ઘણાં વર્ષોથી દાનહમાં મહિલા કોંગ્રેસનું પદ ખાલી હતું. પરંતુ પ્રદેશના પ્રભારી તરીકે શ્રી માણિકરાવ ઠાકરેની કરાયેલી નિયુક્તિ બાદ એ.આઈ.સી.સી.થી હકારાત્મક સહયોગ મળી રહ્યો છે અને આગામી લોકસભાની ચૂંટણીમાં કાર્યકરો એક અને નેક બની કામ કરી ફરી કોંગ્રેસને મજબૂત કરશે એવો વિશ્વાસ પણ પ્રગટ કર્યો હતો.
શ્રી મહેશભાઈશર્માએ દાનહ મહિલા કોંગ્રેસના અધ્યક્ષની કરાયેલી નિયુક્તિ બદલ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી મલ્લિકાર્જુન ખડગે, શ્રી રાહુલ ગાંધી, શ્રી કે.સી.વેણુગોપાલ, મહિલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીમતી અલકા લાંબા અને પ્રદેશ પ્રભારી શ્રી માણિકરાવ ઠાકરેનો આભાર પણ પ્રગટ કર્યો હતો.