ફિશિંગ હાર્બરના નિર્માણથી દીવના માછીમારોની દશા અને દિશા બદલાશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.29 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના વણાંકબારા ખાતે ‘પ્રધાનમંત્રી મત્સ્યસંપદા યોજના (પીએમએમએસવાય)’ અંતર્ગત રૂા.93.17 કરોડના ખર્ચથીફિશિંગ હાર્બર બનાવવા માટે ભારત સરકારે આજે સૈધ્ધાંતિક મંજૂરી આપી છે.
દીવ જિલ્લાના વણાંકબારા ખાતે અદ્યતન મત્સ્ય બંદરના નિર્માણ માટે ભારત સરકારની મળેલી સૈધ્ધાંતિક મંજૂરી બાદ આ પ્રોજેક્ટ આવતા દિવસોમાં પૂર્ણ થશે અને દીવ જિલ્લાના માછીમારો માટે સમૃદ્ધિના અનેક દરવાજા ખુલશે એવું આકલન પણ વ્યક્ત થઈ રહ્યું છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની કૃપાદૃષ્ટિ અને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કઠોર પરિશ્રમના કારણે પ્રદેશના માછીમારોના જીવન-ધોરણને સુધારનારા અનેક મહત્વના નિર્ણયો લેવાયા છે. જે પૈકી વણાંકબારા ખાતે ફિશિંગ હાર્બરના નિર્માણથી આ વિસ્તારના માછીમારોને પોતાની મત્સ્ય સંપદાના વિતરણ વેચાણમાં પણ અનેક અનુકૂળતાઓ આવશે.
પ્રધાનમંત્રી મત્સ્યસંપદા યોજના અંતર્ગત 100 ટકા સેન્ટ્રલ આસિસ્ટન્સથી રૂા.93.17 કરોડના ખર્ચે દીવ જિલ્લાના વણાંકબારા ખાતે બનનારા ફિશિંગ હાર્બરથી દીવના માછીમારોની દિશા અને દશા બદલાશે એવો વિશ્વાસ પ્રગટ થઈ રહ્યો છે.