સભામાં પંચાયતના તલાટી કમ મંત્રીની ગેરહાજરી હોવા છતાં તાલુકાના વહીવટી વડા તાલુકા વિકાસ અધિકારી ચંદ્રકાંત પઢિયાર પંચાયતને સ્પષ્ટ આદેશ કરવાની જગ્યાએ નરોવા કુંજરવાની ભૂમિકા ભજવી બુદ્ધિનું પ્રદર્શન કરતા હોવાનું સામે આવી રહેલું ચિત્ર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.04: સરીગામ પંચાયતના સરપંચ શ્રી સહદેવભાઈ વઘાતે તારીખ 4/3/2024 ના રોજ ખાસ સામાન્ય સભા બોલાવવા માટે ગત તારીખ 28/2/2024ના રોજ એજન્ડાની બજવણી કરી હતી. જે સભાની કાર્ય સૂચિ મુજબ બજેટ મંજૂરી માટે બોલાવેલી ખાસ સામાન્ય સભા આજરોજ રાજકીય રીતે પૂર્ણ થવા પામી હોવાની માહિતી પ્રાપ્ત થવા પામી છે. સભામાં ઉપસ્થિત બહુમતી સભ્યોએ રજૂ થયેલા અંદાજપત્રના સમર્થનમાં હાથ ઊંચો કરી મંજુર કર્યું હતું. હવે પંચાયતના તલાટી કમ મંત્રી અથવા સરકારના પ્રતિનિધિ અર્થાત મેમ્બર સેક્રેટરી વગર આ ખાસ સામાન્ય સભાની પૂર્ણ કરવામાં આવેલી પ્રોસેડીંગ પંચાયત ધારા મુજબ ટકવા પાત્ર છે કે નહીં એ અભ્યાસનો વિષય બની જવા પામ્યો છે.
વિસ્તૃત માહિતી જોતા સરીગામ પંચાયતના કેટલાક સભ્યો દલ પલટુનો ખેલ રમી રહ્યા છે. સરપંચશ્રીએ વિરોધ પક્ષના બે સભ્યોને એમના સમર્થનમાં દલ પલટુ કરાવેલ છે જ્યારે મોકો મળતા વિરોધ પક્ષે શાસક પક્ષના ચાર સભ્યોને દલ પલટુ કરાવેલ છે. જેના કારણે સ્પષ્ટ બહુમતી ધરાવતા સરપંચ શ્રી સહદેવભાઈ વઘાત લઘુમતીમાં આવી જતા બજેટ નામંજૂરની વિકટ પરિસ્થિતિનો સામનો કરવા પડી રહ્યો છે. આ પરિસ્થિતિમાંથી રસ્તો કાઢવા માટે એક સભ્યની જરૂર હતી અને એક સભ્ય સમર્થનમાં આવી શકે એવો ભરોસો પ્રાપ્ત થતાં સરપંચશ્રી એ વહેલી તકે સામાન્ય સભાનુ આયોજન કરવા તલાટી કમ મંત્રીશ્રી વિરલભાઈ પટેલનું ધ્યાન દોર્યું હતું. પરંતુ તલાટી કમમંત્રી સ્પષ્ટ ઈરાદો ધરાવતા ના હોય પંચાયતના સરપંચશ્રીના આદેશની અવગણના કરી હતી. અને જે દિવસે ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું એ દિવસે રજા ઉપર ઉતરી ગયા હતા. બીજી તરફ પંચાયતના સરપંચ શ્રી સહદેવભાઈ વઘાતે ખાસ સામાન્ય સભાની કાર્યવાહી ચલાવવા માટે તાલુકા વિકાસ અધિકારીનુ ધ્યાન દોર્યું હતું અને સરકારના પ્રતિનિધિ તરીકે ફરજ ઉપર બીજા અધિકારીની નિમણૂક કરવા વિનંતી કરી હતી. જેના સંદર્ભમાં તાલુકા વિકાસ અધિકારી શ્રી ચંદ્રકાંત પઢિયારે પણ સ્પષ્ટ આદેશ કરવાની જગ્યાએ ‘‘સરીગામ ગ્રામ પંચાયતની સામાન્ય સભા માટે નિયમો અનુસારની કાર્યવાહી કરવા આથી આપને જણાવવામાં આવે છે” એવો લેખિત આદેશ કરી નરો વા કુંજરો વા ની ભૂમિકા ભજવી સરીગામ વહીવટને અવઢવ ની સ્થિતિમાં મૂકી દીધુ હતુ. આ પરિસ્થિતિ વચ્ચે આજરોજ સરીગામ પંચાયતના સરપંચ શ્રી સહદેવભાઈ વઘાતે સરકારના પ્રતિનિધિ વગર ખાસ સામાન્ય સભા બોલાવી રાજકીય રીતે પૂર્ણ કરી છે. વિકાસના કાર્યો તેમજ જનહિતના રોજિંદા કાર્યો જેવા કે સાફ-સફાઈ, વીજ લાઈટ, પંચાયતના કર્મચારીઓનો પગાર સહિતના કામો અટકી પડતા ભારે અરજકતાનો સામનો ગ્રામજનોને કરવા પડે એને ધ્યાનમાં રાખીને સભાની કાર્યસુચી મુજબ મહત્વના એજન્ડા બજેટ મંજૂર કરવાનું કામપૂર્ણ કર્યા હોવાની માહિતી આપી છે.
આ સંદર્ભમાં તાલુકા વિકાસ અધિકારી ચંદ્રકાન્ત પઢીયાર જોડે ફોનના માધ્યમથી બે વાર સંપર્ક કરી પંચાયત ધારા મુજબ સામે આવી રહેલી કાયદાકીય ગુંચવણ વિશે અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બંને વાર તાલુકા વિકાસ અધિકારીએ અભ્યાસ કરીને જણાવું એવું કહી સ્પષ્ટતા કરવાનું ટાળ્યું હતું. હવે આ મુદ્દામાં આગળ કેવો વળાંક આવે એ જોવું રહ્યું.