વર્ષ 2024-25 માટે જે બાળકોએ 1 જૂન 2024 સુધી છ વર્ષ પૂર્ણ કર્યા હશે તેઓ જ પ્રવેશપાત્ર બનશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.14: ગુજરાત સરકાર દ્વારા મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર અધિનિયમ-૨૦૦૯ ની કલમ-૧૨(૧)(ક) હેઠળ બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫% મુજબ વિનામુલ્યે ધો.૧ માં નબળા અને વંચિત જુથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. આ એક્ટ હેઠળ જે બાળકોએ ૧ લી જુન ૨૦૨૪ ના રોજ છ વર્ષ પુર્ણ કરેલ હોય તેઓ આ યોજના હેઠળ પ્રવેશપાત્ર બનશે. વર્ષ ૨૦૨૪-૨૫માં વલસાડ જિલ્લામાં ૨૪૬ બિન-અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫% મુજબ ૨૪૨૬ જગ્યાઓ પર આર.ટી.ઈ એકટ અંતર્ગત પ્રવેશ મળવાપાત્ર છે.
અરજદારોએ https://rte.orpgujarat.com વેબસાઈટ પર તા.૧૪ માર્ચ ૨૦૨૪ થી તા.૨૬ માર્ચ ૨૦૨૪ દરમિયાન પ્રવેશ ફોર્મ ભરી અરજી કરવાની રહેશે. જેમાં ફોર્મ ભરવા સંબંધી જરૂરી આધાર પુરાવાની વિગતો વેબસાઈટ પર ઉપલબ્ધ છે. આ યોજના હેઠળ પ્રવેશ માટે જરૂરી માર્ગદર્શન માટે જિલ્લા કચેરીના હેલ્પ લાઈન નં- ૦૨૬૩૨- ૨૫૩૨૧૦ ઉપર સંપર્ક કરવાનો રહેશે. વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જરૂરી લાગુ પડતા આધાર પુરાવાઓ જેવા કે, જન્મ તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ-કેટેગરીનો દાખલો તેમજ આવકનો દાખલો વગેરે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન ફોર્મ પ્રિન્ટ, વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. ઓનલાઈન ભરેલ ફોર્મની પ્રિન્ટ કયાંય જમા કરવાની રહેશે નહી. પ્રવેશ કન્ફર્મ ન થાય ત્યાં સુધી વેબસાઇટ પર ચકાસણી કરતાં રહેવું. આ અંગે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર મેસેજથી જાણ કરવામાં આવશે એમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.