કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા જાહેર કરાયેલ પાંચ ન્યાય ઘોષણાને જન જન સુધી લઈ જવા એ.આઈ.સી.સી. દિલ્હી વોર રૂમના ઉપાધ્યક્ષ મીનાક્ષી શેઠી દ્વારા અપાયેલું પ્રશિક્ષણ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.14 : આજે દાદરા નગર હવેલી કોંગ્રેસ દ્વારા બ્લોક લેવલ સહાયક (બી.એલ.એ.-1 અને બી.એલ.એ.-2)ના લગભગ 900 જેટલા કાર્યકરોની 306 બૂથ માટે એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દિલ્હીથી ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના વોર રૂમના ઉપાધ્યક્ષ સુશ્રી મીનાક્ષી શેઠીની ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓને વર્કશોપના માધ્યમથી પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. જેમાં મતદાતાઓને કેવી રીતે મદદરૂપ બનવું અને મતદાન મથક સુધી લઈ જવા કેવી રીતે પ્રેરિત કરવા તેની સમજણ આપવામાં આવી હતી.
સુશ્રી મીનાક્ષી શેઠીએ બૂથ સ્તરથી લઈ પંચાયત મંડળ સુધી લોકસભા અને સ્થાનિકચૂંટણીમાં પાર્ટીને કેવી રીતે પ્રભાવશાળી બનાવવી તેની વિસ્તૃત માહિતી આપી હતી. ચૂંટણી પહેલાં કોંગ્રેસ પક્ષની વિચારધારા, આર્થિક નીતિ, સામાજિક નીતિ, વિદેશ નીતિ વગેરે સામાન્ય જનતા સુધી પહોંચાડવાની રણનીતિ ઉપર ચર્ચા કરી હતી. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીએ જાહેર કરેલી પાંચ ન્યાયની ઘોષણાની વિસ્તૃત જાણકારી આપતા જણાવ્યું હતું કે, મહિલા સશક્તિકરણ માટે પ્રત્યેક મહિલાઓને વાર્ષિક એક લાખ રૂપિયા આર્થિક સહાયતા, મહિલાઓને સરકારી નોકરીમાં 50 ટકા આરક્ષણ, જ્યોતિબા ફૂલે હોસ્ટેલ જેવી યોજનાઓ ઉપરાંત કિસાન ન્યાય, યુવા ન્યાય, જેવી મહત્ત્વપૂર્ણ ઘોષણાઓને જન જન સુધી પહોંચાડવા માટે બ્લોક લેવલ સહાયકની મહત્વની ભૂમિકા સમજાવી હતી. આ કાર્યશાળામાં સોશિયલ મીડિયાના માધ્યમથી જનતા સુધી પહોંચવા ઉપર પણ જોર આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે દાનહ કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ શ્રી મહેશભાઈ શર્માના નેતૃત્વમાં પક્ષના તમામ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યશાળામાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ શ્રી વિક્રમસિંહ પરમાર, શ્રી કેતનભાઈ પટેલ, શ્રી મહેશભાઈ ધોડી, યુવા કોંગ્રેસના અધ્યક્ષ શ્રી યુવરાજ ધોડી, મહિલા કોંગ્રેસના અધ્યક્ષ શ્રીમતી માધુરી માહલા, આદિવાસી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શ્રી અજીત માહલા, દાનહ વોર રૂમનાસહ ચેરમેન શ્રી સંદીપ ભીમરા, શ્રી પાવલુસભાઈ વાંગડ, શ્રી દેવાજીભાઈ, શ્રી યાકુબ શેખ, શ્રી રાજેશ શુક્લા, શ્રી ઝુબેર ખાન, યુવા નેતા શ્રી ધનરાજ પાટીલ સહિત વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.