શિવસેનાના પ્રદેશ અધ્યક્ષ પદેથી અભિનવ ડેલકરની હકાલપટ્ટીની રાષ્ટ્રીય નેતા સંજય રાઉતે કરેલી જાહેરાત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ શિવસેના(ઉદ્ધવ ઠાકરે જૂથ)ના રાજ્ય પ્રભારી પ્રમુખ પદે શ્રી શ્વેતલ ભટ્ટની નિયુક્તિની જાહેરાત હાઈકમાન્ડ દ્વારા કરવામાં આવી છે. દાદરા નગર હવેલી અને દમણ-દીવ શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)નાપ્રદેશ અધ્યક્ષ રહેલા શ્રી અભિનવ ડેલકરની હકાલપટ્ટી કરાઈ હોવાની જાણકારી શિવસેના(ઉદ્ધવ ઠાકરે જૂથ)ના પ્રવક્તા અને રાષ્ટ્રીય નેતા શ્રી સંજય રાઉતે આપી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે છેલ્લા ઘણાં વર્ષોથી શિવસેના સાથે જોડાયેલા શ્રી શ્વેતલ ભટ્ટને પ્રદેશ પ્રભારી પ્રમુખ પદે નિયુક્ત કરાતા હવે દાદરા નગર હવેલીમાં એકડે એકથી પક્ષના સંગઠનને ગતિશીલ કરવાની જવાબદારી ઉઠાવવી પડશે. શ્રી શ્વેતલ ભટ્ટે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ઉદ્ધવ ઠાકરે, પક્ષના રાષ્ટ્રીય નેતા શ્રી સંજય રાઉત અને શ્રી આદિત્ય ઠાકરેનો આભાર પ્રગટ કરતા જણાવ્યું છે કે, તેઓ તેમના પર મુકેલા વિશ્વાસને વફાદારીપૂર્વક સાર્થક કરવા પ્રયાસ કરશે.