(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.07 : સેલવાસ નગર પાલિકા દ્વારા વિકાસકામોને બહાલી આપવાના હેતુથી બહુમાળીથી બાવીસા ફળીયા તરફ જતા રસ્તા પરના ઘટાદાર વૃક્ષો કાપવાની કામગીરી પુરઝોશમાં આરંભી દેવામાં આવી છે અને વિકાસના નામે વર્ષોથી અડીખમ માનવી સહિત તમામ પશુ-પક્ષીઓને શીતળ છાયા અને આશરો આપનારા એવા વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે. અત્રે યાદ રહે કે, વૈશ્વિક ગ્લોબલ વોર્મિંગ એક મહા સમસ્યા બની ગઈ છે જેનું મુખ્ય કારણ વૃક્ષોનું નિકંદન સહિત પ્રદૂષણ છે અને આ પ્રદૂષણ મનુષ્ય સહિતના પૃથ્વી ઉપરના દરેક જીવો માટે જોખમી પુરવાર થઈ રહ્યું છે. જોકે તેની અગમચેતી અનુસાર સરકાર દ્વારા ક્યાંક ક્યાંક વૃક્ષોનું વાવેતર શરૂ કરી દીધું છે અને વૃક્ષ મહોત્સવ અને વૃક્ષારોપણ જેવા કાર્યક્રમોને મહત્વ આપીને લોકોમાં જાગૃતિ લાવવાની ઝુંબેશ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વૃક્ષો કાપતા સામાન્ય લોકો સામે વહીવટીતંત્ર દ્વારા કાયદાકીય પગલાં પણ ભરવામાં આવી રહ્યા છે, અને વનવિભાગ જંગલોમાં વૃક્ષ છેદન સામે સખત નજર રાખી રહ્યું છે. પરંતુ શહેરોમાં જ વિકાસના નામે વૃક્ષોનો વિનાશ કરવામાં આવી રહ્યો છે તેનું શું? વાત છે સેલવાસ શહેરની. દાદરા નગર હવેલીમાં તમામ મોરચેવિકાસની હરણફાળ ભરી છે અને ચોમેર વનરાજીના જંગલો નહિ પણ કોંક્રિટના જંગલો ઉભા થઈ રહ્યા છે અને તેમાં આડે આવતા વૃક્ષોનો પણ ખાત્મો બોલાવવામાં આવી રહ્યો છે. વિકાસના નામે લીલાછમ વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવી રહ્યું છે. ત્યારે એક બાજુ સરકાર વધુ વૃક્ષ વાવવાની ઝુંબેશ હાથ ધરે છે અને બીજી બાજુ વિકાસના નામે વૃક્ષોનો જ વિનાશ થઈ રહ્યો છે, ત્યારે લોકોમાં વિરોધ શા માટે થતો નથી તે પણ એક સવાલ છે.