આરોપી રોહિતે મહિલા સાથે થયેલ બોલાચાલીમાં મારી નાંખવાની ધમકી આપ્યા બાદ કરેલી હત્યા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.08 : દમણમાં પાંચ વર્ષ પહેલાં થયેલ ઝઘડાની અદાવતમાં એક મહિલાની હત્યા કેસમાં જિલ્લા અને સત્ર ન્યાયાલયે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. 18 સાક્ષીઓના સી.ડી.આર. અને વિવિધ પુરાવાને ધ્યાને લઈ વિદ્વાન ન્યાયાધીશશ્રી શ્રીધર એમ. ભોંસલેએ સજાનો ચુકાદો સંભળાવતા આરોપીને આજીવન કેદ તેમજ રૂા.10 હજાર રોકડાની પણ સજા સંભળાવી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણના આટિયાવાડમાં રહેતા અશોક સોના યાદવે 12 જાન્યુઆરી, 2019ના રોજ તેની પત્ની કુસુમ ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યું હતું કે તે સુમનભાઈના ઘરે તેની પત્ની કુસુમ અને 4 બાળકો સાથે રહે છે. તેઓ રાત્રે કલેજીયા પ્લાસ્ટીક કંપનીમાં હેલ્પર તરીકે કામ કરતા હતા અને પત્ની દિવસ દરમિયાન સોમનાથની એક કંપનીમાં કામ કરતા હતા. 11 જાન્યુઆરીએ જ્યારે તે ઘરે આવ્યો ત્યારે તેની પત્ની કામ પર ગઈ હતી, એટલે કુસુમે તેની પુત્રીને ફોન કરીનેપપ્પા અશોકને ખાવાનું આપવાનું કહ્યું હતું અને તે રાત સુધી ઘરે પરત આવી ન હતી. તેથી કુસુમના પતિ અશોકે તેના જમાઈ રમાકાંતને તેની શોધખોળ માટે મોકલ્યો હતો, ત્યારબાદ આગામી દિવસે તેમણે આટિયાવાડ પોલીસ ચોકીમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે ગુમ થયાનો ગુનો નોંધી મહિલાની શોધખોળ શરૂ કરી હતી, પરંતુ તે દરમિયાન પોલીસને મોટી દમણ જમ્પોર પાસેની એક વાડીમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. ઓળખ કરતાં લાશની ઓળખ કુસુમ દેવી તરીકે થઈ હતી. પોલીસે ગુમ થયેલા કેસને હત્યામાં ફેરવી તપાસ શરૂ કરી હતી.
પૂછપરછ દરમિયાન ફરિયાદી અશોકે જણાવ્યું હતું કે, તેના જ બ્લોકમાં રહેતા રોહિતને થોડા દિવસો પહેલાં તેની પત્ની સાથે ઝઘડો થયો હતો અને તેણે કુસુમ દેવીને મારી નાખવાની ધમકી પણ આપી હતી. તપાસમાં જાણવા મળ્યું કે ઘટનાના દિવસે આરોપી રોહિત મહિલાનો હાથ પકડીને ડી-માર્ટના રસ્તેથી પસાર થતાં કેમેરામાં કેદ થયો હતો અને તે પછી તે જમ્પોર પણ ગયો હતો, પરંતુ એકલો પાછો ફર્યો હતો. પોલીસે આ મામલે રોહિતની સઘન પૂછપરછ કરતાં તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. આરોપી રોહિત પાસેથી મહિલાનો મોબાઈલ પણ મળીઆવ્યો હતો, જેના દ્વારા રોહિતે હત્યા કર્યા બાદ તેના પરિવારના સભ્યો સાથે વાત કરી હતી અને હત્યામાં વપરાયેલી છરી પણ મળી આવી હતી.
તપાસ અધિકારી શ્રીજય પટેલે 19 એપ્રિલ, 2019ના રોજ દમણની કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આજે આ કેસની સુનાવણી કરતા જિલ્લા અને સેશન્સ કોર્ટના વિદ્વાન ન્યાયાધીશ શ્રી શ્રીધર એમ. ભોંસલેએ 18 સાક્ષીઓના સી.ડી.આર. અને પુરાવાને ધ્યાને લઈ આરોપી રોહિતને હત્યા કેસમાં દોષી ઠેરવ્યો હતો અને તેને આજીવન કેદ અને રૂપિયા 10 હજાર રોકડના દંડની સજા ફટકારી હતી. આ કેસમાં સરકારી સરકારી વકીલ શ્રી હરિઓમ ઉપાધ્યાયે જોરદાર દલિલ કરી હતી અને આરોપીને આજીવન જેલના સળિયા પાછળ ધકેલવા સફળતા મેળવી હતી.