ફાયર સેફટીના નિયમનું ઉલ્લંઘન કરી સોસાયટી વાસીઓના જીવ સામે ખતરો ઉભો કરનાર માણેક સોસાયટીના માલિકની કચેરીને મારેલા તાળા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.08 : ઉમરગામ પાલિકામાં ફરજ બજાવતા ફાયર સેફટી કર્મચારીએ રિજનલ અધિકારી શ્રી ગઢવીજીની સૂચનાના આધારે ઉમરગામ ગાંધીવાડી સ્થિત નિર્માણ થયેલી માણેક સોસાયટીમાં ફાયર સેફટીના નિયમના ઉલ્લંઘન બદલ કાર્યવાહી હાથ ધરી છે. આ પહેલા માણેક સોસાયટીના રહીશોએ ફાયર સેફટી સહિતના અનેક નિયમોના થઈ રહેલા ઉલ્લંઘનો સામે બળાપો ઠાલવી રહ્યા છે. બિલ્ડીંગના નિર્માણ કરતાં રાજેશભાઈ મિષાીએ ફલેટ ધારકોને ફલેટોના વેચાણ સમયે સગવડ અને સવલતપૂરી કરવાના આપેલા વચનો પણ પૂર્ણ કર્યા નહીં હોવાનું રહીશો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. જેમા ફાયર સેફટીના સાધનોના અભાવના કારણે સોસાયટીના રહીશો અસુરક્ષિત હોવાની લાગણી અનુભવી રહ્યા છે. ગતરોજ ઉમરગામ પાલિકાના કર્મચારીએ સોસાયટીના ગેટને તાળા લગાવવાની કાર્યવાહી હાથ ધરી હતી પરંતુ સોસાયટીના રહીશોએ વિનંતી કરતા પાલિકાના કર્મચારીએ સોસાયટીની કચેરીને તાળા લગાવી દસ દિવસની અલ્ટીમેટમ આપવામાં આવ્યું હોવાની માહિતી પ્રાપ્ત થવા પામી છે.
અત્રે નોંધનીય છે કે, સુરત અને અમદાવાદની આગ લાગવાની ગોઝારી ઘટના બાદ રાજ્ય સરકાર ફાયર સેફટીના નિયમના ઉલ્લંધન કરનારાઓ સામે કડક હાથે કામ લઈ રહી છે. ખાસ કરીને ટાવરોમાં રહેતા રહીશો તેમજ વધારે ભીડ એકત્રિત થતી હોય એવા શોપિંગ કે મોલ ધરાવતી બિલ્ડીંગો સામે આગની ઘટના સમયે વધુ જોખમ રહેતું હોવાથી ફાયર સેફટીની એનઓસી આપતું જવાબદારી વિભાગ ચુસ્તપણે નિયમનું પાલન કરાવતું હોય છે. ત્યારે ઉમરગામ ગાંધીવાડી વિસ્તારમાં નિર્માણ થયેલા ટાવરો સામે પગલા ભરવામાં વિલંબ થતો જોવા મળી રહ્યો છે. આ બિલ્ડીંગોએ ફાયર સેફટી વિભાગનું એનઓસી ના મેળવ્યું હોય તો બિલ્ડીંગ યુઝ સર્ટિફિકેટ કેવી રીતે પાલિકા દ્વારા ઈશ્યૂ કરવામાં આવ્યું એ પણ એકતપાસનો વિષય છે. આ ઉપરાંત આ બિલ્ડિંગોએ સરકારના ઘણા નિયમોનું ઉલ્લંઘન કરેલું હોવાનું પણ સામે આવી રહ્યું છે ત્યારે સોસાયટીમાં રહેતા રહીશોની સુરક્ષાને ધ્યાનમાં રાખી પાલિકા તંત્ર બિલ્ડર સામે કડક હાથે કાર્યવાહી કરવી જોઈએ એવી માંગ પાલિકા વાસીઓમાં જોવા મળી રહી છે.