ધમડાચી રામગીરી ધાબા પાસે લક્ઝરી ઉભી હતી ત્યારે પુરઝડપે આવેલા કન્ટેનરે ટક્કર મારી દેતા અકસ્માત સર્જાયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.13: વલસાડ હાઈવે ઉપર ધમડાચી પાસે ધાબા ઉપર રોકાયેલી લક્ઝરી બસને પુરઝડપે આવી રહેલ કન્ટેનરે ટક્કર મારી દેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. સોમવારે મળસ્કે સર્જાયેલા અકસ્માતમાં લક્ઝરી બસના 12 મુસાફરો તથા કન્ટેનરનો ચાલક ઘાયલ થયા હતા. તમામ ઘાયલોને ત્રણ એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે ખસેડાયા હતા.
વલસાડ હાઈવે ઉપર વહેલી સવારે સર્જાયેલ અકસ્માતની પ્રાપ્ત વિગતો મુજબ લક્ષ્મી ટ્રાવેલ્સ જોધપુરની લક્ઝરી બસ નં.એ.આર.ઓ. 11-ટી 7265 હાઈવે ધમડાચી ગામ પાસે આવેલ રામગીરી ધાબા પાસે બસ રોકાઈ હતી તે દરમિયાન વાપી તરફથી પુરઝડપે આવી રહેલ કન્ટેનર નંબર એમએચ 46 સીએન 4795 ના ચાલકે પાર્ક થયેલ લક્ઝરી બસ સાથે ટક્કર મારી દીધી હતી. સર્જાયેલ અખસ્માતમાં 12 જેટલા લક્ઝરી બસના મુસાફરો ઘાયલ થયા હતા તેમજ કન્ટેનરો ચાલક પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો. અકસ્માતની જાણ થતા રૂરલ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. તમામ ઘાયલોને ત્રણ એમ્બ્યુલન્સ મારફતે સારવારમાટે ખસેડયા હતા. જો કે ધાબા ઉપર બસ રોકાયેલી હોવાથી ઘણા ખરા મુસાફરો નીચે ઉતર્યા હતા. નહીતર મટો અકસ્માત સર્જાતા સર્જાતા રહી ગયો હતો. પોલીસે ક્રેઈન મારફતે અકસ્મતાગ્રસ્ત વાહનોને દૂર કરી ટ્રાફિક નિયમિત કર્યો હતો.