(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી, તા.27: નોગામા ગામે નીતિ નોયમો નેવે મૂકી તળાવમાંથી માટી ખનન અંગેની સ્થાનિકોની રજૂઆતમાં સ્થળ સ્થિતિનો પંચકયાસ કરી પ્રાંત અધિકારી દ્વારા જરૂરી તપાસ માટે ખાણ ખનીજ વિભાગને અહેવાલ સુપ્રત કરવામાં આવ્યો છે. ત્યારે ખાણ ખનીજ દ્વારા માપણી કરી તટસ્થ તપાસ થાય તો હકીકત બહાર આવે તેમ છે.
પ્રાપ્ત વિગત મુજબ ચીખલી તાલુકાના નોગામા ગામે આવેલ બ્લોક નંબર 389 અને 1363 માં આવેલ તળાવને ઊંડું કરવા માટે ગ્રામ પંચાયત દ્વારા જરૂરી એગ્રીમેન્ટ કરી ખાનગી એજન્સીને એનઓસી આપવામાં આવી હતી. આ દરમ્યાન ખાનગી એજન્સી દ્વારા મોટાપાયે તળાવમાંથી માટી ઉલેચવામાં આવતા સ્થાનિકો દ્વારા મામલતદાર અને પ્રાંત અધિકારીને લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં તળાવની આસપાસ ખેડૂતો તથા રહીશોને લાગુ જમીનનું અંતર પણ નારાખી નજીકથી ઊંડું ખોદકામ કરાતા ત્યાં હળપતિઓના ઘરો આવેલ છે. જેથી ઘરો તથા ખેડૂતોની જમીન ધસી જવાની અને કોઈ મોટી હોનારત સર્જાય તેવો ભય વ્યક્ત કરવામાં આવ્યો છે.
સ્થાનિકોની રજૂઆત બાદ મામલતદાર દ્વારા સ્થળ તપાસ કરી સ્થળ સ્થિતિનો પંચકયાસ કરી પ્રાંત અધિકારીને સોંપાતા પ્રાંત અધિકારી દ્વારા જરૂરી તપાસ માટે ખાણ ખનીજ વિભાગને રિપોર્ટ કરવામાં આવ્યો છે. નોગામા તળાવમાંથી એક લાખ મેટ્રિક ટન માટી કાઢવાની ખાનગી એજન્સીને મંજૂરી મળી હતી. જેમાં એક તરફ તો 50 થી 60 ફૂટ ઊંડી માટીનું ખોદકામ કરી દેવામાં આવેલ છે. અને આ સમગ્ર સ્થળ સ્થિતિનો પંચકયાસમાં ઉલ્લેખ કરવામાં આવેલ છે.
નોગામા ગામે તળાવ ઊંડું કરવા માટે ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ વિકાસ ફંડ માટે પંદર લાખ રૂપિયા જમા કરાવવા માટે ખાનગી એજસની સાથે કરાર કરાયો હતો. અને ચાર લાખ રૂપિયા એજન્સી દ્વારા ગ્રામ પંચાયતમાં જમા પણ કરાવવામાં આવ્યા છે.
નોગામા ગામે ખાણ ખનીજ દ્વારા તળાવમાં ખોદકામ કરવામાં આવ્યું છે. તેની તટસ્થપણે માપણી કરાઈ તો મંજૂરીની સામે ખરેખર કેટલું ખોદકામ થયું તે વિગત બહાર આવવા સાથે રોયલ્ટી ચોરીનું લાખો રૂપિયાનું કૌભાંડ બહાર આવવાની શકયતા પણ નકારી શકાય તેમ નથી. સામાન્યપણે માટીના ખોદકામ માટેનામ પૂરતી મંજૂરી મેળવી મંજૂરીની સામે દસ ઘણું ખોદકામ કરી સરકારની તિજોરીને ચૂનો લગાવાતો હોય છે.
પ્રાંત અધિકારી અમિતભાઈ ચૌધરીના જણાવ્યાનુસાર નોગામા ગામે તળાવ ઊંડું કરવા સામે સ્થાનિકોની રજૂઆતમાં સ્થળ સ્થિતિના પંચકયાસ સાથે જરૂરી તપાસ માટે ખાણ ખનીજ વિભાગને રિપોર્ટ કરવામાં આવેલ છે.