(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.02 : કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના આદિવાસી સમાજના સાંસ્કૃતિક, આર્થિક, સામાજિક, અને શૈક્ષણિક ઉત્થાન માટે દૂધની ગામ ખાતે જિલ્લાના યુવાઓ દ્વારા એક પ્રાકૃતિક સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે શ્રી બ્રિજેશ ભુસારા, શિક્ષક શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી રિતેશ પટેલ, શ્રી સુનિલ ખાંજોડિયા, શ્રી શંકર ધાંગડા, શ્રી પંકજ કાકડ, શ્રી પ્રભુકાકડ અને દાનહના આદિવાસી સમાજના અગ્રણીઓ તથા દક્ષિણ ગુજરાતથી સામાજિક કાર્યકર્તા શ્રી કેયુરભાઈ કોંકણી અને રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશથી પણ આદિવાસી સામાજિક કાર્યકર્તા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે દાદરા નગર હવેલી, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન તેમજ દેશના અન્ય ભાગોના આદિવાસી સમાજને આર્થિક રીતે કેવી રીતે આગળ લાવી શકાય એના ઉપર ઉપસ્થિત લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સંવાદ કાર્યક્રમ દરમિયાન પર્યાવરણને લાગતા પ્રશ્નોની પણ ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે ગામડાના લોકોમાં ઠંડાપીણાં પીવાના વધેલા ચલનનને બંધ કરવા અને ઠંડાપીણાં પીવાથી આરોગ્ય ઉપર થતી અસર બાબતે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમજ આદિવાસી સમાજના લોકો પોતાના હક-અધિકારની સાથે સાથે જીવનનિર્વાહની સમસ્યાઓ કેવી રીતે દૂર કરી શકે તથા સંવૈધાનિક હક અને અધિકાર માટેની જાણકારી સાથે સમસ્યાઓ ઉપર ચર્ચા કરી તેના નિરાકરણ ઉપર વાર્તાલાપ કરવામાં આવ્યો હતો.