(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.07: સરીગામ પંચાયતના સરપંચ શ્રી સહદેવભાઈ વઘાતે ચોમાસા દરમિયાન મુખ્ય રસ્તા ઉપર પાણી ફરી વળતા સરીગામની જનતા તેમજ વાહન ચાલકો અને મુસાફરોને વેચવા પડતી મુશ્કેલીના નિવારણ માટે પ્રિમોનસુન કામગીરી કરવા માટે માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ વાપી કચેરીનું ધ્યાન દોરવામાં આવ્યું છે. સરીગામ બાયપાસ માર્ગથી સરીગામ ત્રણ રસ્તા અને સરીગામ ત્રણ રસ્તાથી સરીગામ જીઆઈડીસી ફણસા ચાર રસ્તા તેમજ સરીગામ ત્રણ રસ્તાથી સરીગામ જીઆઈડીસી નારગોલ ચાર રસ્તા સુધીના માર્ગ ઉપર પ્રથમ વરસાદે પાણી ભરાવાની વિકટ સમસ્યા સર્જાય છે. મોટાભાગનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થતા આજુબાજુના ઘરોમાં પાણી ભરાવાની સમસ્યા તેમજ અવરજવર બંધ કરી દેવામાં આવે છે. પાણી ભરવાનું મુખ્ય કારણ પાણીના વહેણ માટે સડકની લગોલગ બનાવેલ આરસીસી ગટરમાં અને માર્ગમાં આવતી ખનકી તેમજ કોતરોમાં પ્લાસ્ટિકનો કચરો જમા થતા પાણીનું વહેણ અટકી જાય છે જેને પ્રિમોન્સૂન કામગીરી દરમિયાન સાફ-સફાઈ કરવાની આવશ્યકતા હોય છે. સરીગામ પંચાયતના સરપંચ શ્રી સહદેવભાઈ વઘાતે પ્રજાના હિતને ધ્યાનમાં રાખી માર્ગઅને મકાન વિભાગ સ્ટેટ વાપી કચેરીનું ધ્યાન દોરતા હવે ચોમાસુ નજીકના સમયમાં હોય તાત્કાલિક અસરથી સાફ-સફાઈ કરાવે એવી રજૂઆત કરવામાં આવી છે.