દુણેઠા સહિતના વિવિધ વિસ્તારમાં પહેલા વરસાદમાં જ પાણી ભરાવાની અને ગટરો જામ થવાની સમસ્યા સર્જાતા સ્થળ ઉપર રૂબરૂ પહોંચી સાંસદ ઉમેશભાઈ પટેલે કરેલું જાતનિરિક્ષણ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.20 : દમણ અને દીવના નવનિર્વાચિત સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે આજે ઠોસ આયોજન વગર કરેલા વિકાસકામોના કારણે પ્રદેશની પ્રજા પરેશાન થઈ રહી હોવાનો આરોપ પ્રશાસન સમક્ષ લગાવ્યો હતો.
સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે આજે દુણેઠા સહિતના વિવિધ વિસ્તારોમાં પહેલા વરસાદમાં જ ગટરમાં પાણીના નિકાલની સમસ્યા સર્જાતા તેમણે પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ બાદ પોતાના વિડીયો મેસેજમાં સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે સંઘપ્રદેશ પ્રશાસન અને ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓને પણ આડે હાથ લીધા હતા.
સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલના જણાવ્યા પ્રમાણે જ્યાં સુધી સિવરેજ લાઈન ચાલુ નહીં થાય ત્યાં સુધી વિવિધ એપાર્ટમેન્ટો, બિલ્ડીંગો અને બંગલાઓમાંથી નિકળતા વેસ્ટને વરસાદી પાણીની ગટરમાં જતા રોકવા નહીં જોઈએ, અને વરસાદ બાદ આ તમામ એપાર્ટમેન્ટ, બિલ્ડીંગો અને બંગલાધારકો પોતાનીસેફટી ટેન્ક અને શોકપીઠ બનાવી વરસાદી પાણીની ગટરમાં પોતાનું પાણી નહીં જાય તેવી વ્યવસ્થા કરશે એવી હૈયાધરપત પણ વ્યક્ત કરી હતી.
સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલના અભિગમથી દમણ અને દીવની જનતામાં એક નવી આશા અને ચેતના જન્મી હોવાની લાગણી પણ પ્રગટ થઈ રહી છે. આવતા દિવસોમાં સાંસદ તરીકે શ્રી ઉમેશભાઈ પટેલ કેવા પરાક્રમ કરે તેના ઉપર તમામની નજર મંડાયેલી છે.