બંધ પડેલા વાહનના ચાલકોએ પેટ્રોલ પંપ પર ધસી આવી કરેલી ઉગ્ર રજૂઆતને માન્ય રાખતા પંપના માલિકે વાહનોને થયેલું નુકસાન ભરપાઈ કરવાની આપવી પડેલી બાહેંધરી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.01: ઉમરગામ તાલુકાના ભિલાડ-સંજાણ રોડ ઉપર કાર્યરત નાભ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવનાર વાહનો બંધ પડી જવાની ઘટના પ્રકાશમાં આવી હતી. વાહનોની બંધ પડી જવાની લાગેલી કતારે ચાલકોએ પેટ્રોલ પંપ પર ઉગ્ર રજૂઆત કરી હતી. આ રજૂઆતને પગલે પેટ્રોલમાં પાણીનું મિશ્રણ થયું છે કે નહીં એની ખરાઈ માટે બોટલમાં પેટ્રોલ ભરી ચેક કરવામાં પેટ્રોલમાં પાણીનું મિશ્રણ થયું હોવાનું પુરવાર થવા પામ્યું હતું. આ ઘટના વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ ન કરે એના માટે પેટ્રોલ પંપના માલિકે વાહન ચાલકોને નુકસાનીની ભરપાઈ કરવાની બાહેંધરી આપવી પડી હતી. પેટ્રોલમાં પાણીનું મિશ્રણ થવાની ઘટના વાહન ચાલકો માટે આફતરૂપ સાબિત થવા પામી હતી. આ ઘટનામાં તંત્રએ તપાસ હાથ ધરવાની જરૂરિયાત જણાઈ રહી છે. પેટ્રોલમાં પાણીનું મિશ્રણ કેવી રીતે થવા પામ્યું એનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.