પુલના છેડે ફળોની ઉભેલી લારીઓ નદીમાં પડી ગઈ પુલે ભ્રષ્ટાચારનો
જવાબ આપી દીધો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.01: ધરમપુર હાથીખાનારોડ ઉપર સમડીચોક પાસે વહેતી સ્વર્ગવાહિની નદી ઉપર પુલ બાંધવામાં આવ્યો છે. આ પુલની છેડે આવેલ રેલિંગનો હિસ્સો ધસી પડયો હતો. આજે સોમવારે નવ વાગ્યાના સુમારે બનેલી ઘટનાને લઈને ધરમપુર શહેરમાં ચકચાર મચી જવા પામી હતી.
ધરમપુર હાથીખાના રોડ ઉપર સ્વર્ગવાહિની નદી ઉપર બનાવાયેલ પુલએ આજે ભ્રષ્ટાચારની પોલ ખોલી દીધી હતી. પુલના છેડે લગાવાયેલ રેલિંગનો આખો હિસ્સો નદીમાં ખાબકી ગયો હતો. અહીં પુલના છેડે ફળોની લારીઓવાળા ઉભા રહે છે તે પૈકી બે લારીઓવાળા લારીઓ સમેત નદીમાં ખાબક્યા હતા પરંતુ સદ્દનસીબે બન્ને લારીવાળાનો ચમત્કારિક બચાવ થયો હતો. નદીના પટમાં કેળા અને સફરજન વેરાયા હતા. ગરીબ લારીવાળા માટે પડતા ઉપર પાટુ સમાન સ્થિતિ ઉભી થઈ હતી. વરસાદનો હજી તો પ્રારંભ માત્ર છે ત્યાં પુલનો હિસ્સો ધસી ગયો છે ત્યારે પુલની ક્વોલિટી-આવરદા ઉપર ઘટના સવાલ યા નિશાન ઉભા કરી રહી છે.