(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.02 : નાની દમણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના ઝાંપાબારમાં આવેલી તનિષ્કા જ્વેલર્સની દુકાનમાંથી ચોરોએ આશરે રૂા.90 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી અજાણ્યા ચોરાટાઓ ચોરી કરી ફરાર થયા હોવાની ઘટના અંગે દુકાન માલિકે પોલીસને જાણ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, નાની દમણના ઝાંપાબારમાં તનિષ્કા નામની જ્વેલરીની દુકાન આવેલી છે. દુકાન માલિક રાકેશ રાત્રે દુકાન બંધ કરીને ઘરે ગયો હતો. સવારે જ્યારે શટર ઊંચું કરવામાં આવ્યું ત્યારે દુકાનની પાછળનીદિવાલ તૂટેલી જોવા મળી હતી તેથી ચોરટાઓએ દુકાનની દિવાલ તોડી અંદર પ્રવેશ કર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. દુકાનની અંદર રાખેલી તિજોરી તોડી તેમાં રાખેલા અંદાજે રૂા.90 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી થઈ હોવાનું ખબર પડી હતી. આ ઘટનાની જાણ થતાં નાની દમણ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ વિશાલ પટેલ સવારે તેમની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને દુકાન માલિકની પૂછપરછ કરી હતી ત્યારબાદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
