(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.20
વલસાડ જિલ્લામાં કોરોના સંક્રમણને લઈ તમામ જાહેર પર્યટન સ્થળો છેલ્લા ચાર મહિનાથી બંધ રાખવામાં આવ્યા હતા. પરંતુ સંક્રમણ નામશેષ થતાં આજથી વલસાડ તિથલ બીચ વહીવટીતંત્ર દ્વારા ખુલ્લો રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
દક્ષિણ ગુજરાતમાં તિથલબીચનું પર્યટકોમાં ભારે આકર્ષણ જોવા મળે છે. આ બીચ ઉપર નિરંત હજારો પર્યટકો સહેલગાહે આવે છે પરંતુ સંક્રમણને લઈ તિથલ બીચ બંધ રાખવામાં આવ્યો હતો. સ્થાનિક વેપારીઓ અને કિનારા ઉપર ચાલતા લારી ગલ્લાવાળા તેમજ તિથલ પંચાયત તરફથી માંગણી કરવામાં આવતા વહીવટીતંત્રએ આજથી તિથલ બીચ ખુલ્લો રાખવાનો નિર્ણય કર્યો છે. જિલ્લાના અન્ય પ્રવાસન સ્થળો પણ હવે ક્રમશઃ ખુલ્લા રાખવામાં આવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તિથલ બીચ સપ્તાહમાં પાંચ દિવસ જ ખુલ્લો રહેશે, શનિ અને રવિવારે બંધ રહેશે તેવું જાહેર કરવામાં આવ્યું છે. આજે પણ બીચ ઉપર પ્રવાસીઓ ઉમટી પડયા હતા તેમજ દરિયાના મોજા 10થી 1પ ફૂટ ઊંચા લહેરાતા જોવા મળ્યા હતા.