(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.04: સદ્ગુરુ માતા સુદીક્ષાજી મહારાજની શીખ ‘जीवन तभी महत्वपूर्ण बन जाता है, जब वह दूसरों के लिए जिया जाए’ને અપનાવી દમણ અને દાદરા નગર હવેલી-સેલવાસ સેક્ટરની દમણ શાખામાં સંત નિરંકારી સત્સંગ ભવન, વરકુંડ ખાતે આયોજિતશિબિરમાં 181 નિરંકારી ભક્તોએ ભારે ઉત્સાહ સાથે રક્તદાન કર્યું હતું. સંત નિરંકારી મિશનની સામાજિક શાખા સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશનના નેજા હેઠળ 4, ઓગસ્ટ, રવિવારના રોજ આયોજિત આ રક્તદાન શિબિરમાં દમણ રક્તદાન કેન્દ્ર અને વલસાડ રક્તદાન કેન્દ્રના સહયોગથી રક્ત એકત્ર કરવામાં આવ્યું.
પ્રથમ રક્તદાન શિબિરનું ઉદ્ઘાટન દક્ષિણ ગુજરાતના પ્રભારી શ્રી ઓન્કાર સિંહના કરકમલો દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, ઝરમર વરસાદ હોય કે પ્રખર તાપ, સંત નિરંકારી મિશનના સેવાદાર ભક્તો નિરંતર માનવતાની સેવામાં પોતાને સમર્પિત રાખે છે. રક્તદાન ઉપરાંત તેઓ સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ, નિઃ શુલ્ક નેત્ર ચિકિત્સા શિબિર, મફત હેલ્થ ચેકઅપ કેમ્પ તેમજ કુદરતી આપત્તિ વખતે રાહત કાર્ય વગેરે જેવી વિવિધ સામાજિક સેવાઓમાં યોગદાન આપતા રહે છે.
આ પ્રસંગે સંત નિરંકારી મંડળના દમણ અને દા.ન.હ.-સેલવાસ સેક્ટરના સંયોજક શ્રી વિનોદભાઈ રાઠોડ, દક્ષિણ ગુજરાતના કો-ઓર્ડિનટર શ્રી બાલુભાઈ પટેલ અને દમણ શાખાના મુખી શ્રી યોગેશભાઈ દમણીયા દ્વારા આવેલાં તમામ ઉપસ્થિત અતિથિઓ સહિત ડૉક્ટર તેમજ તેમની ટીમ અને રક્તદાતાઓનો હૃદયથી આભાર વ્યક્ત કર્યો હતો. સ્થાનિક સેવાદળ યુનિટ અને સંત નિરંકારી ચેરિટેબલફાઉન્ડેશનના સ્વયંસેવકોની મદદથી આ શિબિરનું સફળતાપૂર્વક આયોજન પૂર્ણ થયું.