(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.04: દાદરા નગર હવેલીની વચ્ચોવચ્ચ આવેલ કપરાડા તાલુકાના મેઘવાળ ગામમાં ખાનગી જગ્યામાં રખોલી અને મસાટ ગામની કંપનીઓ દ્વારા છેલ્લા ઘણાં સમયથી ખુલ્લેઆમ કેમિકલવાળો ઘન કચરો ઠાલવવામાં આવી રહ્યો છે. જેને બંધ કરાવવા માટે ગામના લોકોએ ગ્રામ પંચાયતમાં વારંવાર લેખિત ફરિયાદો કરવામાં આવેલ છે અને પંચાયત દ્વારા પણ જમીન માલિકને નોટિસ પણ આપવામાં આવેલ હોવા છતાં પણ થોડા રૂપિયાના માટે આ જમીન માલિક દ્વારા કંપનીઓનો કેમિકલવાળો ઘન કચરો ઠાલવવા નોતરૂ આપી રહ્યા છે. જેનો ગ્રામજનો દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે.
આ સંદર્ભે કપરાડા તાલુકાના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરીને પણ લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી તેથી શ્રી જીતુભાઈ ચૌધરીએ વાપી જીપીસીપીના અધિકારીઓને ટેલિફોનિકજાણ કરતા એમની ટીમ મેઘવાળ ગામે પહોંચીને જે ઘન કચરો ઠાલવવામાં આવેલ એના સેમ્પલો લઈ જવાયા હતા. પરંતુ ગામવાળાની એક જ માંગ છે કે આ જે કંપનીઓના કેમિકલવાળા કચરો કાયમ માટે બંધ થાય એ જરૂરી છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર જે જગ્યા પર આ કચરો નાખવામાં આવી રહ્યો છે એની બાજુમાં જ સરકારી શાળા આવેલી છે અને એમાં મોટી સંખ્યામાં બાળકો ભણવા આવે છે જેઓના આરોગ્ય માટે પણ મોટી ખતરો તોળાઈ રહ્યો છે. આ કેમિકલવાળા દુર્ગંધયુક્ત ઘન કચરાના કારણે ગામના પીવાના પાણીનાસ્ત્રોત એવા બોરિંગના પાણી પણ દૂષિત બની ગયા છે. જેથી આ ગામમાં સેલવાસ અને આજુબાજુના ગામની કંપનીઓ દ્વારા ઠાલવવામાં આવી રહેલા કેમિકલવાળા ઘન કચરાની પ્રવૃત્તિ કાયમ માટે બંધ કરવામાં આવે એવી ગામલોકોની ઉગ્ર માંગ છે.