દલવાડાની ગૌશાળાના ગૌવંશના અપમૃત્યુ માટે જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાબુલંદ બનેલી માંગણી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.04 : દમણના દલવાડા ખાતે આવેલ ગૌશાળામાં લગભગ 60 થી વધુ અને અડોશ-પડોશના ગામના 15 જેટલા પશુઓના મોત થતાં સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે અને જવાબદારને શોધી તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માંગ બુલંદ બની છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દલવાડા ખાતે આવેલ ગૌશાળાનું સંચાલન જિલ્લા પંચાયત અને મરવડ ગ્રામ પંચાયત દ્વારા થતું હતું. પરંતુ ગૌરક્ષા મંચ સાથે સંકળાયેલ મરવડ ગ્રામ પંચાયતના ચૂંટાયેલા એક સભ્યની ગુનાહિત સામેલગીરીના કારણે આ કાંડ થયો હોવાનું ચર્ચામાં છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ગૌશાળામાં શુક્રવારે કોઈ ફૂડ બનાવતી ઈન્ડસ્ટ્રીઝમાંથી સમોસાની પટ્ટીઓ લાવવામાં આવી હતી. આ પટ્ટીઓનો ખોરાક ખાધા બાદ પશુઓના ટપોટપ મોત થવા માંડયા હતા. આ વધેલી સમોસાની પટ્ટી ખુલ્લામાં ફેંકવામાં આવી હતી, જેનો ખોરાક તરીકે ગામના પશુઓએ ઉપયોગમાં લેતાં આજુબાજુ વિસ્તારના લગભગ 15 જેટલા પશુઓના પણ મોત થયા હોવાનું જાણવા મળે છે.
અત્રે નોંધનીય છે કે, દલવાડાની ગૌશાળાનું સંચાલન જો જિલ્લા પંચાયત દ્વારા કરાતું હોય તો કેટલાક લોકો દ્વારા ગૌરક્ષક મંચના નામે દલવાડાની ગૌશાળા માટે દાન ઉઘરાવાતું હોવાનું પણ જાણવા મળે છે.ત્યારે આ દાનનો વહીવટ કોણ કરતું હતું અને ફેક્ટરીમાં સમોસાની પટ્ટી લેવા માટે કોણ ગયું હતું અથવા ફેક્ટરીવાળા દ્વારા સમોસાની પટ્ટી આપવા કોણ આવ્યું હતું અને ભૂતકાળમાં પણ આ પ્રકારે સમોસાની પટ્ટી કે અન્ય ખાદ્ય સામગ્રી આપવામાં આવી હતી કે કેમ? તે અનેક બાબતો રહસ્યના જાળાં ઉભા કરી રહી છે.
સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા આ સમગ્ર પ્રકરણની તલસ્પર્શી તપાસ કરી ગૌમાતા અને તેમના વંશ સાથે ઘાતકી બેદરકારી રાખનારા તત્ત્વો સામે સખતમાં સખત કાર્યવાહી કરવી જોઈએ એવી માંગ પ્રબળ બની છે.