(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.21: આર.કે.દેસાઈ મેમોરિયલ ટ્રસ્ટ વાપી રજત જયંતીમાં પ્રવેશ કરી ચૂકયું છે એની ખુશીમાં હૃદય સ્પર્શી લેખિકા ડો.મોના શાહ દ્વારા લિખિત પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન શ્રીમતિ લતાબેન દેસાઈ તથા આર.કે.દેસાઈ મેમોરિયલ ટ્રસ્ટના ચેરમેન શ્રી મિલન દેસાઈ અને અતિથિ વિશેષ શ્રી ડો.અમી પરીખ, મહાદેવભાઈ દેસાઈ, અમિત દેસાઈ, આર.આર.દેસાઈ તથા વિકાસ ઉપાધ્યાય અને વિશેષ ઉપસ્થિતિ આશા વીરેન્દ્ર, તથા અન્યવિદ્વાનો ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમની શરુઆત ભારતીય લોકસંસ્કળતિ પ્રમાણે દીપ પ્રાગટયથી કરવામાં આવ્યું હતું અને એફ.વાય.બીએડ્ ના તાલીમાર્થીઓએ સ્વાગત નૃત્ય રજૂ કરી મહેમાનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા ત્યાર બાદ મુખ્ય મહેમાન શ્રીઓનું પુષ્પો ગુચ્છ તેમજ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ આર.કે.દેસાઈ મેમોરિયલ ટ્રસ્ટના આદ્ય સ્થાપક તેમજ પ્રેરણાસ્ત્રોત સ્વ.રમણલાલ કુંવરજીભાઇ દેસાઈને પુષ્પો અર્પિત કરવામાં આવ્યા. ત્યારબાદ ‘એકાંશ’ પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પુસ્તકમાં સંતાનોની બાળ, તરુણ અને યુવાવસ્થા વિકાસના વિવિધ તબક્કા દરમિયાન વાલીઓ અને શિક્ષકો માટે જરૂરી માર્ગદર્શનની અનુભવકથાના વિસ્તૃત ચિત્રણ કરવામાં આવ્યું છે. અને પુસ્તકની લેખિકા અને સહ અનુવાદિત લેખિકા પોતાના પુસ્તક અંગે પ્રતિભાવો રજૂ કર્યા હતા તેમજ સંસ્થાના ઈન્ચાર્જ કેમ્પસ ડાયરેક્ટર ડો.મિત્તલ શાહએ આર.કે.દેસાઈ મેમોરિયલ ટ્રસ્ટ વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને ગર્ભ સંસ્કારનું લગતું સુંદર નાટક ડો.સારિકા પટેલ દ્વારા લિખિત એફ.વાય.બીએડ્ના તાલીમાર્થીઓએ પ્રસ્તુત કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો.સારિકા પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. અંતે આભારવિધિ કોલેજના પ્રિન્સિપાલ ડો.પ્રીતિચૌહાણ દ્વારા કરવામાં આવ્યું. આમ સુંદર કાર્યક્રમનું આયોજન કરવા બદલ સંસ્થાના ચેરમેન શ્રી મિલન દેસાઈ તથા કોલેજના સર્વ આચાર્યએ અને અધ્યાપકોએ આનંદની લાગણી અનુભવી અભિનંદન પાઠવ્યા હતાં.