ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલયના રાજ્યમંત્રી પ્રો.એસ.પી.સિંહ બઘેલે આપેલું પ્રમાણપત્ર
આંટિયાવાડ ગ્રામ પંચાયત વિસ્તારની મહિલાઓના નેતૃત્વવિકાસ અને સામુદાયિક હિતમાં કામ કરવાનો સરપંચ ઉર્વશીબેન પટેલે વ્યક્ત કરેલો સંકલ્પ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.24 : દમણની આંટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી ઉર્વશીબેન જયેશભાઈ પટેલે ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલય દ્વારા ઈન્સ્ટિટયૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આણંદ-ગુજરાત(ઈરમા)ના સહયોગથી આણંદ ખાતે આયોજીત નેતૃત્વ અને પ્રબંધન વિકાસ કાર્યક્રમની સફળતાપૂર્વક પાંચ દિવસીય તાલીમ લીધી હતી. તાલીમ દરમિયાન શ્રીમતી ઉર્વશીબેન પટેલને સામુદાયિક નેતૃત્વ અને જાહેર જીવનમાં હકારાત્મક અભિગમની સચોટ કેળવણી પ્રાપ્ત થઈ હતી. શ્રીમતી ઉર્વશીબેન પટેલમાં તાલીમ બાદ સબળ નેતૃત્વ અને કુશળ વહીવટનો આત્મવિશ્વાસ પણ પ્રાપ્ત થયો હતો.
ઈરમા-આણંદ દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં લીડરશીપ/ મેનેજમેન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ(એલ.એમ.ડી.પી.)ની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર પંચાયતી રાજ સંસ્થાઓ સાથે સંકળાયેલ સરપંચો, જિલ્લા પંચાયત સભ્યો, અધિકારીઓને ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલયના રાજ્યમંત્રી પ્રોફેસર એસ.પી.સિંહ બઘેલના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.
સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલે ઈરમા દ્વારા મળેલી તાલીમનોઉપયોગ તેઓ આંટિયાવાડ પંચાયત વિસ્તારની મહિલાઓના નેતૃત્વવિકાસ અને સામુદાયિક હિતમાં કરવાનો પોતાનો સંકલ્પ પણ પ્રગટ કર્યો હતો. તેમણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, પંચાયતી રાજ મંત્રાલય, પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ, સંઘપ્રદેશના પંચાયતી રાજ સચિવ શ્રી ગૌરવ સિંહ રાજાવત, દમણ જિલ્લા પંચાયતના સી.ઈ.ઓ. શ્રી આશિષ મોહન, બી.ડી.ઓ. શ્રી મિહિર જોષીનો આભાર પણ પ્રગટ કર્યો હતો.