15મી સપ્ટેમ્બર, 2024ના રોજ સ્વ. વિષ્ણુભાઈ એફ. દમણિયાને મરણોપરાંત ‘માહ્યાવંશી રત્ન’નો અપાનારો એવોર્ડઃ એમ.વી.એમ.ના સંસ્થાપક અને મેનેજીંગ ટ્રસ્ટી મનહરભાઈ પટેલે કરેલી જાહેરાત
(વર્તમાન પ્રવાહન્યુઝ નેટવર્ક)
દમણ, તા.24 : સમગ્ર ભારતભરમાં માહ્યાવંશી સમાજનું પ્રતિનિધિત્વ ધરાવતી સૌથી મોટી સંસ્થા માહ્યાવંશી વિકાસ મંચ દ્વારા સ્વ. વિષ્ણુભાઈ એફ. દમણિયાને તેમના સમાજ સમર્પણના કારણે મરણોપરાંત ‘માહ્યાવંશી રત્ન’ની ઉપાધિ એનાયત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાની જાણકારી મંચના સંસ્થાપક અને મેનેજીંગ ટ્રસ્ટી શ્રી મનહરભાઈ પટેલે આપી હતી.
એમ.વી.એમ.ના સંસ્થાપક અને મેનેજીંગ ટ્રસ્ટી શ્રી મનહરભાઈ પટેલના જણાવ્યા પ્રમાણે સ્વ. વિષ્ણુભાઈ એફ. દમણિયાએ પોતાનું સમસ્ત જીવન સમાજ સેવાની ભેખ ધરી સમાજને સમર્પિત કર્યું હતું. તેઓ દમણ જિલ્લા માહ્યાવંશી સમાજના સ્થાપક હોવાની સાથે દમણમાં માહ્યાવંશી સમાજની વાડીના નિર્માણ માટે પણ તેમની નિર્ણાયક ભૂમિકા રહી હતી. સાપુતારા ખાતે 14 અને 15મી સપ્ટેમ્બર, 2002ના રોજ યોજાયેલ માહ્યાવંશી મંથનમાં ઉપસ્થિત રહી સાપુતારાના શિખરેથી રાત્રિના અંધકારમાં મીણબત્તી પ્રગટાવી સમાજને સંગઠિત કરવાના સંકલ્પ લેવામાં પણ શ્રી વિષ્ણુભાઈ દમણિયા અગ્રેસર હતા અને ત્યારબાદ જ માહ્યાવંશી વિકાસ મંચનો જન્મ થયો હોવાની માહિતી પણ શ્રી મનહરભાઈ પટેલે આપી હતી.
સ્વ. વિષ્ણુભાઈ એફ. દમણિયાને આગામી તા.15મી સપ્ટેમ્બર, 2024ના રોજ મંચના સ્થાપના દિવસે ‘માહ્યાવંશી રત્ન’ની ઉપાધિ આપવામાંઆવનાર હોવાની પણ માહિતી શ્રી મનહરભાઈ પટેલે આપી હતી.